ગુજરાતમાં કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તેવા સમયે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી નીતિ સરકારની હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની અછત વચ્ચે રાજ્ય સરકાર મીટિંગો યોજીને સબ સલામત હોવાનું ગાણું ગાઈને પોતાની મસ્તીમાં રાચી રહી છે. સામાપક્ષે કોમર્શિયલ એલપીજી વપરાશકારો આજે પણ કતારોમાં વ્યસ્ત રહીને હેરાન થઈ રહ્યા છે.
વડાપ્રધાનએ મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠક બાદ આજે ગુજરાતમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વધુ એક બેઠક યોજાઈ હતી. જેમાં રજૂ થયેલા આંકડા અનુસાર ગુજરાતમાં 1.28 કરોડ ઘરેલું એલપીજી વપરાશકારો છે. તેની સામે 10 દિવસમાં ફક્ત 12 હજાર કનેક્શનો પીએનજીમાં ફેરવવામાં આવ્યા છે. આ ઝડપે સરકાર ચાલશે તો છ મહિને પણ ગણતરીના કનેક્શનો જ પીએનજીમાં ફેરવાશે!

વળી આ કનેક્શનો પણ રહેણાંક છે. કોમર્શિયલ કનેક્શન તો માત્ર 300 જ ફેરવાયા છે. સામાપક્ષે ગત તા. 13થી શરૂ કરાયેલી હેલ્પલાઇનમાં 15 દિવસમાં એલપીજીને લગતી 10 હજારથી વધારે ફરિયાદો નોંધાઈ છે. બધી જ બાબતોનો એકંદર સાર એવો નીકળે છે કે, આ ગંભીર કટોકટી સામે લડવા માટે સરકાર પાસે કોઈ ખાસ કે આગોતરો એક્શન પ્લાન જ નથી. ચીલાચાલુ પદ્ધતિથી બેઠકો યોજીને કામગીરી કર્યાનો સંતોષ રાજ્ય સરકાર માની રહી છે. કારણ કે ઘરેલુ અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરોના કાળાબજાર રોકવા જેવી ગંભીર બાબતોમાં પણ સરકાર ખાસ કંઈ ઉકાળી શકી નથી.
આજે મળેલી બેઠકમાં સરકારે જણાવ્યું હતું કે, પીએનજી કનેક્શનોને અગ્રતા આપવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આગામી 60 દિવસમાં 11 હજારથી વધારે કનેક્શન આપવામાં આવશે. ગુજરાતમાં 50 હજારથી વધારે કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે. હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રથમ અગ્રતા અપાશે. સપ્લાય ચેઈન પર નજર રાખવા મુખ્ય સચિવના નેતૃત્વમાં સ્ટેટ લેવલ અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા સ્તરીય કમિટીઓ કાર્યરત કરવામાં આવી છે.
કાળાબજાર કરતા તત્વો સામે કડક પગલાં લેવાના હાકલા પડકારા તો સરકારે આઠથી દસ વખત કર્યા છે. પરંતુ આજ સુધીમાં જમીનીસ્તર પર ખાસ કંઈ અસરકારક પગલાં લેવાયા નથી. અમદાવાદ સહિતના શહેરોમાં કમર્શિયલ ગેસના બાટલા ખુલ્લેઆમ ચારથી પાંચ હજાર રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યા છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ મ્યુનિ. કાઉન્સિલરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અહીંની એક એજન્સી પાસે 6થી 7 સિલિન્ડરનો બેકલોગ છે. દરરોજ માત્ર 1થી 2 ટ્રકની મર્યાદિત સપ્લાય આપવામાં આવે છે. બીજી તરફ લોકોને પીએનજી લાઈન લેવાનું દબાણ કરાઈ રહ્યું છે, તે બાબત નૈતિક રીતે વ્યાજબી નથી.


