ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓના આયોજનમાં રાજ્ય ચૂંટણી આયોગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પારદર્શક અને ન્યાયી ચૂંટણીના દાવાઓ વચ્ચે, નિરીક્ષકોની નિમણૂકમાં વિલંબ અને વારંવાર બદલાતા આદેશોને કારણે વહીવટી વર્તુળોમાં ‘અંધેરી નગરી’ જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં આગોતરા આયોજનનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત સાથે જ નિરીક્ષકો (Observers)ની નિમણૂક થઈ જવી જોઈએ, પરંતુ આ વખતે આયોગે છે ક 09-04-2026ના રોજ હુકમ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે, નિમણૂકના માત્ર 24 કલાકમાં જ આયોગે જૂનો હુકમ ‘મૂળ અસરથી રદ’ કરી નવો ‘સુધારા હુકમ’ બહાર પાડવો પડ્યો છે. આ ઘટનાક્રમ આયોગની વહીવટી સજ્જતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

નિરીક્ષકોની ભૂમિકા ચૂંટણીમાં અત્યંત મહત્વની હોય છે, જેમાં આદર્શ આચારસંહિતાનું પાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઈવીએમ (EVM) ની સુરક્ષા મુખ્ય છે. નિરીક્ષકોની મહત્વની બ્રીફિંગ બેઠક છેક 10-04-2026ના રોજ રાખવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો નિરીક્ષકો જ ફિલ્ડ પર મોડા પહોંચશે, તો શરૂઆતના તબક્કાની અનિયમિતતાઓ પર લગામ કોણ કસશે? આ વિલંબને કારણે સ્થાનિક સ્તરે આચારસંહિતાના ભંગની ઘટનાઓ વધવાની આશંકા સેવાઈ રહી છે.
આઈએએસ (IAS) અને વરિષ્ઠ અધિકારીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ છેલ્લી ઘડીના ફેરફારો અને આદેશોમાં અસ્પષ્ટતાને કારણે અધિકારીઓમાં પણ અવઢવ અને મુંઝવણનો માહોલ છે. જ્યારે ચૂંટણી જેવો લોકશાહીનો ઉત્સવ માથે હોય ત્યારે વહીવટી તંત્રની આવી ‘હળવાશ’ લોકશાહીના પાયા માટે ચિંતાજનક સંકેત ગણાવી શકાય.


