જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું આ કહેવતને સાર્થક કરતો બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો છે, જ્યાં સાયલા તાલુકાના ચોરવીરા ગામે કાકા અને તેના દીકરાએ મળીને ભત્રીજાની હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી છે. સાયલા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યામાં સંડોવાયેલા પિતા-પુત્રને ઝડપી પાડયા છે. જેમના કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.
સાયલા તાલુકાના ચોરવીરા ગામે મૃતક યુવાન મુન્નાભાઈ મારુણિયા અને તેના કાકા અનુભાઈ મારુણિયા વચ્ચે જમીન બાબતે ઝઘડો ચાલતો હતો. અનેક વખત બોલાચાલી થતાં પરિવારમાં ખટાશ વધી હતી. ભત્રીજા પર ખાર રાખી સગા કાકાએ તેને 07 ડિસેમ્બર)ના રોજ પોતાના ઘરે સમજાવટ માટે બોલાવ્યો હતો, જ્યાં વડીલો પાર્જીત જમીન માટે એકાએક મામલો ઉગ્ર બનતા અનુભાઈ અને તેમનો પુત્ર રવજીભાઈએ ધાબા પરથી મુન્નાભાઈને ધક્કો મારી દીધો હતો. નીચે પટકાયેલા મુન્નાભાઈને ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થઈ ગયા હતા.

બાદમાં ધક્કો મારનાર કાકાએ ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે મુન્નાભાઈને બેભાન હાલતમાં ખાટલામાં સુવડાવી દીધા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ મુન્નાભાઈ પત્નીએ તેમને ઘરે લાવીને સુવડાવ્યા હતા. પણ બીજા દિવસે સવારે પણ મુન્નાભાઈ નહીં જાગતા તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ-ચાર દિવસ બાદ તેમનું મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.
ઘટનાની જાણ મૃતક યુવાનના પરિવાર દ્વારા પોલીસને કરાઇ હતી. પત્ની ફરિયાદી બનતા જ પોલીસે આરોપીને પકડી લેવા કવાયત હાથ ધરી હતી, ગણતરીની કલાકોમાં જ અનુભાઈ મારુણિયા અને રવજીભાઈ મારુણિયાની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આજે પોલીસે બંને આરોપીની પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. આવનાર સમયમાં પોલીસ રિમાન્ડમાં 7 ડિસેમ્બરના રોજ શું શું થયું હતું તે ઘટનાનો કાચોચિઠ્ઠો ખોલશે.


