ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શર્વિલ પી. પટેલે જણાવ્યું હતું કે, આ સહયોગ ભારતમાં પર્સનલાઇઝ્ડ ઓન્કોલોજી (વ્યક્તિગત કેન્સર સારવાર)ના માળખાને મજબૂત બનાવશે.
ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ દ્વારા વૈશ્વિક મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ક્ષેત્રની દિગ્ગજ કંપની માયરિઆડ જીનેટિક્સ સાથે ખાસ કરાર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ, ઝાયડસ હવે ભારતમાં કેન્સરના સચોટ નિદાન માટે અત્યાધુનિક ‘પ્રિસિઝન મેડિસિન’ ટેસ્ટ ઉપલબ્ધ કરાવશે, જે કેન્સર સામેની લડાઈમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

આ કરાર અંતર્ગત ઝાયડસ ભારતીય બજારમાં ત્રણ મુખ્ય નિદાન પ્લેટફોર્મ રજૂ કરશે:
MyRisk: આ એક વ્યાપક મલ્ટીજીન પેનલ ટેસ્ટ છે, જે 63 જેટલા જનીનોનું વિશ્લેષણ કરીને સ્તન, અંડાશય અને પ્રોસ્ટેટ જેવા વંશપરંપરાગત કેન્સરના જોખમની આગાહી કરે છે.
MyChoice HRD Plus: અંડાશયના કેન્સરના દર્દીઓમાં રોગની પ્રગતિ સમજવા અને સચોટ સારવાર નક્કી કરવા માટે આ ટેસ્ટ અત્યંત ઉપયોગી છે.
Prolaris: પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા દર્દીઓ માટે આ પ્રોગ્નોસ્ટિક ટેસ્ટ સારવારના આયોજનમાં મદદરૂપ થશે.
શું કહે છે નિષ્ણાતો?
ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શર્વિલ પી. પટેલે જણાવ્યું હતું કે, આ સહયોગ ભારતમાં પર્સનલાઇઝ્ડ ઓન્કોલોજી (વ્યક્તિગત કેન્સર સારવાર)ના માળખાને મજબૂત બનાવશે. આ પરીક્ષણો દ્વારા ડૉક્ટર્સ માત્ર કેન્સરનું જોખમ જ નહીં, પરંતુ દર્દીની આનુવાંશિક સ્થિતિ મુજબ સૌથી અસરકારક સારવારનો પ્લાન પણ તૈયાર કરી શકશે.
માયરિઆડ જીનેટિક્સના ચીફ કમર્શિયલ ઓફિસર બ્રાયન ડોનેલીએ જણવ્યું હતું કે, ઝાયડસ સાથેની આ ભાગીદારીથી ભારતીય ક્લિનિશિયન્સને જિનોમિક ડેટાના આધારે વધુ આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણયો લેવાની શક્તિ મળશે. અત્યાર સુધી આ પરીક્ષણો મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને યુરોપના કેન્સર સેન્ટરોમાં જ વ્યાપક હતા. હવે ઝાયડસના માધ્યમથી ભારતીય દર્દીઓને ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સ્તરની નિદાન સુવિધા મળશે, જેનાથી કેન્સરના કેસોનું વહેલું નિદાન શક્ય બનશે અને મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાશે.


