ભરૂચના પાલેજ નજીક આવેલી HHFMC એકેડમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય-2025 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી, ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી તેમજ ડૉ.મતાઉદ્દીન ચિશ્તીનું પુષ્પ ગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તાલીમ-એ-દિન-વ-તસ્વવુફ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડીવાલા સમાજના ઈમ્તિયાઝ મોદી કે જેઓએ PHD ની પદવી પ્રાપ્ત કરી હતી તેઓનું સૈયદ સલીમુદ્દીન ચિશ્તી તેમજ ડૉ.મતાઉદ્દીન ચિશ્તીના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છે. જે સમન્વયની એક સુંદર શરૂઆત છે.
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે તમામ ઈબાદતોથી બેહતર ઇબાદત જરૂરતમંદોને અને દુઃખી લોકોને મદદરૂપ બનવું. કડીવાલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યો છે તે ખૂબ સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે. આપ સૌ અભિનંદનને પાત્ર છો એમ તેઓએ જણાવ્યું હતું. આપને સૌએ નેક નિયતથી કામ કરવાનું છે. કડીવાલા સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
REPORTER : કેતન મહેતા, પાલેજ