HomeGujaratGujarat : પેપર લીકના આરોપીને 'તાજ': ભાજપના આ નિર્ણયથી ગુજરાતના યુવાનોમાં ભારે...

Gujarat : પેપર લીકના આરોપીને ‘તાજ’: ભાજપના આ નિર્ણયથી ગુજરાતના યુવાનોમાં ભારે રોષ!જુનિયર ક્લાર્ક કૌભાંડમાં ATS એ જેને પકડ્યો હતો, તે આકાશ પટેલ હવે અરવલ્લી ભાજપ યુવા મોરચાનો પ્રમુખ!

મોડાસા/અમદાવાદ: ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ હજુ લોકો ભૂલ્યા નથી, ત્યાં જ એક એવો રાજકીય નિર્ણય સામે આવ્યો છે જેણે સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર સવાલો ઉભા કર્યા છે. વર્ષ 2023ના કરોડોના પેપર લીક કૌભાંડમાં જેનું નામ ગાજ્યું હતું અને જેની ગુજરાત એટીએસ (ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તે આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.


કોણ છે આકાશ પટેલ? અને શું હતો જૂનો મામલો?
જાન્યુઆરી 2023માં જ્યારે લાખો પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા થનગની રહ્યા હતા, ત્યારે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા જ પેપર લીક થઈ ગયું હતું. આ કેસની તપાસમાં ગુજરાત એટીએસએ તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર આખી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો.

  • તપાસનો રેલો: એટીએસની તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું.
  • ધરપકડ: કૌભાંડીઓ સાથેના કથિત કનેક્શનને પગલે એટીએસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
  • કૌભાંડની ગંભીરતા: આ એ જ કૌભાંડ હતું જેના કારણે સરકારે નવા કડક કાયદા લાવવાની ફરજ પડી હતી.
    પક્ષમાં અને જનતામાં વિરોધનો વંટોળ
    જ્યારે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અરવલ્લી જિલ્લાના સંગઠનમાં નિમણૂકો જાહેર કરવામાં આવી, ત્યારે આકાશ પટેલનું નામ જોતા જ કાર્યકરોમાં સોપો પડી ગયો હતો.
  • નિષ્ઠાવાન કાર્યકરોમાં રોષ: વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા કાર્યકરો પૂછી રહ્યા છે કે, “શું ભાજપમાં હવે પાયાના કાર્યકરો કરતા પેપર લીકના આરોપીઓનું વજન વધી ગયું છે?”
  • યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં: લાખો બેરોજગાર યુવાનો જેમણે પેપર લીકને કારણે આર્થિક અને માનસિક યાતના ભોગવી છે, તેમના માટે આ નિર્ણય જખમ પર મીઠું ભભરાવવા જેવો છે.
  • વિપક્ષના પ્રહાર: આ નિમણૂક બાદ વિપક્ષને પણ બેઠું ભાથું મળી ગયું છે. સરકાર એક બાજુ પેપર લીક રોકવાના દાવા કરે છે અને બીજી બાજુ આરોપીઓને પદ આપે છે, તેવું ચર્ચાઈ રહ્યું છે.
    શું આમાં સરકારની છબી ખરડાઈ રહી છે?
    ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી સતત પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ જ્યારે સંગઠનમાં આવા વિવાદાસ્પદ ચહેરાઓને સ્થાન મળે ત્યારે જનતામાં ખોટો સંદેશ જાય છે. શું હાઈકમાન્ડને આકાશ પટેલના ભૂતકાળની જાણ નહોતી? કે પછી કોઈ મોટા માથાઓના આશીર્વાદથી આ ‘પદ’ મળ્યું છે?

‘પાક્કો ગુજરાત’નો સવાલ: શું આ નિર્ણયથી આવનારી પરીક્ષાઓમાં યુવાનોનો વિશ્વાસ વધશે કે ઘટશે? શું ભાજપે આ નિમણૂક રદ કરવી જોઈએ? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જણાવો.

અહેવાલ: ‘પાક્કો ગુજરાત’ ન્યૂઝ ડેસ્ક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments