ભરૂચના ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં 'શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ' દ્વારા આઠમા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના સંગઠનને મજબૂત કરવા અને સામાજિક સુધારા લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી, નરેન્દ્રસિંહ સોલંકી, નયનસિંહ બાલશ, જીતસિંહ મકવાણા, સુભાષસિંહ સોલંકી અને બરવંતસિંહ ચાવડા સહિતના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સમાજમાં વ્યાપેલા વ્યસનો અને કુરીવાજોને જડમૂળથી દૂર કરવા તેમજ શિક્ષણનો વ્યાપ વધારી યુવા પેઢીને ઉજ્જવળ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડીને તે નાણાંનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે કરવા માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, ટ્રસ્ટીઓ દ્વારા સમાજની વાડી નિર્માણ અને વ્યવસ્થાપન સંબંધિત મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય ભાઈઓ અને બહેનોની હાજરીમાં આ સમારોહ સામાજિક એકતાનું પ્રતીક બન્યો હતો, જેને સફળ બનાવવા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.



