રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં આધુનિક માળખાગત સુવિધાઓ અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા અમલમાં મુકાયેલા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનના અનુસંધાને રાણાવાવ નગરપાલિકા વિસ્તારમાં તારીખ ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ આઇકોનિક રોડના નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન અંતર્ગત રાણાવાવ શહેરમાં આવેલ ખાખરીયા નાગ દેવતાના મંદિરથી લઈને સ્વામી વિવેકાનંદ સ્કૂલ સુધી આઇકોનિક રોડ નિર્માણ થનાર છે. ઉલ્લેખનીય છે કે આ વિકાસકાર્ય શહેરના વાહનવ્યવહાર અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો લાવશે અને નાગરિકોને વધુ સગવડભર્યું અને સુવ્યવસ્થિત માર્ગ વ્યવસ્થાપન પૂરું પાડી શકશે.
ખાતમુહૂર્ત પ્રસંગે રાણાવાવ નગરપાલિકાની પ્રમુખ ગીતાબેન ભૂતિયા, કારોબારી ચેરમેન યાસ્મીનબેન પોપટિયા તથા સર્વશ્રી નગરપાલિકા સદસ્ય મેરૂભાઈ ઓડેદરા, ધર્મેશભાઈ મકવાણા, મિલનભાઈ પુરોહિત અને અહેજાદબાપુ કાદરી ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત રાણાવાવ શહેરના આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
REPORTER : વિરમભાઇ કે. આગઠ