આગામી 10થી 15 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓની મુલાકાતે આવશે. જેને પગલે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આદેશ જારી કરાયો છે. જેમાં DGPના હુકમ અનુસાર, આગામી 7 જાન્યુઆરી 2026થી 12 જાન્યુઆરી 2026 સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ કેન્સલ કરવામાં આવી છે.

મહત્ત્વનું છે કે, DGP દ્વારા આપવામાં આવેલા જાહેરનામા મુજબ, અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પોલીસકર્મીને રજા આપવામાં આવશે નહીં. વધુમાં, જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલમાં રજા પર છે, તેઓને પણ વડાપ્રધાનના બંદોબસ્તને ધ્યાને લેતા તાત્કાલિક રજા પરથી પરત ફરી પોતાની ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાથી સમગ્ર રાજ્યનું પોલીસતંત્ર આ સમયગાળા દરમિયાન ખડેપગે રહેશે.


