અમરેલીના વડીયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસર ન હોવાથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી વડીયા સરકાર કોલેજમાં 3 પ્રોફેસરને ઓર્ડર આપવામાં આવ્યો છે, પરંતુ એકપણ પ્રોફેસર હાજર થયા ન હતા.
આ ઉપરાંત કોલેજમાં ફક્ત એકજ પ્રોફેસર હોવાના કારણે વિદ્યાર્થીને યોગ્ય અને વ્યવસ્થિત શિક્ષણ પૂરું પાડવામાં આવતું નથી. પરીક્ષા નજીક હોય તેવા સમયે કોલેજમાં પ્રોફેસર ન હોવાને લઈને મૂંઝવણમાં મૂકાયેલા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જતાં પ્રિન્સિપલ અયોગ્ય વર્તન કર્યુ હોવાનો વિદ્યાર્થીનો આક્ષેપ છે. કોલેજમાં પ્રોફેસરનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

અમરેલીના વડીયાની પ્રોફેસર વિહોણી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરોના અભાવને લઈને વિદ્યાર્થીઓનું હલ્લાબોલ મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 5 મહિના કોલેજ મંજૂર થઈ હોવા છતાં માત્ર એક પ્રોફેસર દ્વારા લેક્ચર લેવામાં આવે છે. એમાં પણ બી.કોમ. અને બી.એ.ના વિદ્યાર્થીઓને ફક્ત એકજ વિષય ભણાવવામાં આવે છે. જ્યારે અન્ય વિષયના પ્રોફેસર ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થયું છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ‘કોલેજમાં પ્રોફેસરના અભાવે અમારે કેટલા વિષયો છે અને અભ્યાસક્રમ શું છે એ પણ ખ્યાલ નથી. માત્ર દોઢેક મહિના બાદ પરીક્ષા લેવામાં આવશે. તેવામાં કાયમી પ્રોફેસરોની નિમણૂક ન થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપાલ ઈનચાર્જ વડીયા કોલેજના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. પ્રિન્સિપલને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી.’
વધુમાં જણાવ્યું કે, ‘પ્રિન્સિપલને રૂબરૂમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જતાં પ્રિન્સિપલે ઉગ્ર વ્યવહાર કર્યો હતો. જેના વિરોધમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. બીજી તફર, સરકાર દ્વારા સંપૂર્ણ મહેકમ મંજૂર કર્યું હોવા છતાં પ્રિન્સિપાલ દ્વારા એકપણ પ્રોફેસરની ભરતી કરાઈ નથી, ત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં આર્ટસ અને કોમર્સના 109 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું જોવા મળી રહ્યું છે.’


