ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ, જેમાં 242 મુસાફરો સવાર હતા. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે, ખાસ કરીને ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ દુર્ઘટનામાં આણંદના 33 અને ખેડાના અંદાજે 17 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લા પ્રશાસન અને ભાજપે 33 મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેરના લોકો સામેલ હતા. આમાં એક ડૉક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.

ખેડા જિલ્લામાં નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ અને કઠલાલના લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા, જોકે ખેડા પ્રશાસન મોડી સાંજ સુધી ચોક્કસ આંકડા આપી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા પ્રશાંત પટેલ પણ આ વિમાનમાં હતા.આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાં ચૂરેચૂર કરી દીધાં.