સાવરકુંડલાની શાંત ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી. આજે બપોરે અંદાજે ૪:૨૫ કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશી (જોશી દાદા) ના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો. આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
જાન-માલનું નુકસાન:
આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી (જોશી દાદા) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઘરની તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે. મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

તંત્રની કામગીરી:
ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે PGVCLની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો જેથી મોટી હોનારત ટળી હતી.
એજન્સીની તપાસ:
બનાવની ગંભીરતા જોતા ઇન્ડિયન એરો ગેસ એજન્સીના બબા શેઠ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


