સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ૮૦ ફૂટ રોડ પર બે મહિના પહેલા પી.કે.જાદવ એજન્સીએ ૩.૫૦ કરોડના ખર્ચે બનાવેલો રોડમાં ડામર પીગળી રહ્યો છે. મહાનગરપાલિકામાં કામ કરતી એજન્સીએ નબળુ મટીરીયલ વાપરીને બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો છે. એજન્સીએ નબળુ મટીરીયલ વાપરીને કામ કરાતું હોવાની ફરિયાદો છતાં મનપાએ કાર્યવાહી કરી ન હોવાની ફરિયાદો ઉઠી છે. રોડમાં ડામર પીગળતા વાહનો સ્લિપ થઇ જવાના પણ બનાવો બની રહ્યાં છે કેટલાક સ્થળોએ નવા રોડમાં તિરાડો પણ પડી ગઇ છે.

સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડનું નવિનીકરણ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત બાદ મહાનગરપાલિકાએ રસ્તાનું નવીનીકરણનું કામ શરૂ કર્યું હતું. શહેરના હોટલ વીરાથી ભક્તિનંદન સર્કલ સુધી ૩.૫૦ કરોડના ખર્ચે પી.કે. જાદવ એજન્સીએ રોડ બનાવ્યો હતો. રોડ પર ખાડા પણ પડી ગયા છે. ૩૬ ડિગ્રી તાપમાન પહોંચતા રોડ પીગળવા લાગ્યો છે.જયારે આગામી દિવોસમાં ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાન થતાં રોડ વધુ પીગળી જવાની સંભાવના છે. આ સ્થિતિમાં એજન્સી સામે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
રોડ પીગળી જતા વાહનો સ્લિપ થવાના પણ બનાવો બની રહ્યાં છે. જેથી તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી સંભાવના છે.


