નાતાલનું વેકેશન શરૂ થતાંની સાથે જ રણોત્સવ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડયા હતા.રણોત્સવ પ્રારંભ થયાને આજ દિવસ સુધીમાં 79513 પ્રવાસીઓ સફેદ રણનો નજારો માણ્યો છે.
કચ્છનાં ધોરડો ખાતે શરૂ થયેલો રણોત્સવ હવે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દર વર્ષે રણોત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ વ્હાઇટ રણનાં સૌંદર્યને માણવા માટે ઉમટી પડે છે.આ ઉપરાતં કાળો ડુંગળ, ધોળાવીરા, રોડ ટુ હેવન, માંડવી બીચ, ભુજનું સ્મૃતિવન, મ્યુઝિયમ, પ્રાગ મહેલ સહિતનાં પ્રવાસન સ્થળો તેમજ નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ, સ્વામિનારાયણ મંદિર સહિતનાં યાત્રાધામોમાં પણ દર્શનનો લાભ લેતા હોય છે.જેને કારણે નાના – મોટા ધંધાર્થીઓ, હસ્તકલાનાં કારીગરો, હોટલ-રિસોર્ટ, ટ્રાન્સપોર્ટના વ્યવસાયકારોથી લઇને ગાઇડ સહિતનાઓને પ્રવાસનનાં વિકાસનો લાભ મળી રહ્યો છે.
આ વખતે કચ્છમાં વરસાદની સીઝન લાંબી ચાલી હતી જેને કારણે રણમાં પણ પાણી ભરાઇ જતાં રણોત્સવ દસથી પંદર દિવસ મોડો એટલે કે,23 નવેમ્બરથી પ્રારંભ થયા બાદ પ્રારંભિક દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી રહી હતી.પરંતુ નાતાલના વેકેશન દરમ્યાન કચ્છનાં સફેદ રણ સહિતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.રણોત્સવ શરૂ થયાને આજ સુધીમાં 38 દિવસમાં 79513 પ્રવાસીઓએ સફેદ રણનાં સૌંદર્યને માણ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ભુજનાં પ્રાંત અધિકારી ડૉ.અનિલ જાદવે જણાવ્યું હતું કે,સફેદ રણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને પરમિટ આપવામાં આવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વખતે દિવાળીના તહેવાર બાદ રણોત્સવનો પ્રારંભ થયો હોઈ શરૂઆતમાં ઓછા પ્રવાસીઓ જોવા મળ્યા હતા.પરંતુ નાતાલનું વેકેશન શરૂ થતાંની સાથે જ રણોત્સવ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડયા હતા.રણોત્સવ પ્રારંભ થયાને આજ દિવસ સુધીમાં 79513 પ્રવાસીઓ સફેદ રણનો નજારો માણ્યો છે.જેને કારણે તંત્રને રૂ. 8847750ની આવક થવા પામી છે.જેમાં કુલ 7769 પ્રવાસીઓ ઓનલાઇન અને 3824 પ્રવાસીઓએ ઓફલાઇન મળીને કુલ 11693 પ્રવાસીઓએ પરમિટ લીધી હતી. અત્યાર સુધીમાં કુલ 79513 પ્રવાસીઓએ રણોત્સવ માણ્યો તેમાં 123 વિદેશનાં પ્રવાસીઓનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.
ધોરડોનાં સફેદ રણની નજાકતને માણવા માટે આવતા પ્રવાસીઓએ પોતાનાં વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી ન થાય તે માટે તંત્ર દ્વારા ગત વર્ષની જેમ આ વખતે પણ પાંચ જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. અહીં ખાનગી વાહનો પાર્ક થયા બાદ પ્રવાસીઓને સફેદ રણનાં વોચ ટાવર સુધી લઇ જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.કાઉન્ટરની પણ સંખ્યા વધારાઇ હોવાને કારણે પ્રવાસીઓને કાઉન્ટર ઉપર લાઇનો લગાડવામાંથી મુક્તિ મળી છે.
હાલે સરકારી તેમજ અર્ધ સરકારી સ્કૂલ તેમજ ખાનગી સ્કૂલના બાળકો પણ કચ્છનાં પ્રવાસે આવી રહ્યા છે. હાલે દૈનિક ૩૫થી વધુ શાળાકીય પ્રવાસની બસો ધોરડો સુધી પહોંચી રહી છે, પરિણામે અત્યાર સુધીમાં ૩૫ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. તો રણોત્સવમાં આ વખતે સફાઇ ઉપર પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. અવિરતપણે સફાઇ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, તંત્ર દ્વારા પહેલાંથી જ સફેદ રણ અને રોડ ટુ હેવનને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.


