પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતમાં LPG સિલિન્ડરના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને DGPs સાથે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આશરે 2 કલાક ચાલેલી આ બેઠકમાં દેશભરમાં LPGની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી અને ઘરેલું ગેસનો પુરવઠો કોઈપણ અડચણ વગર ચાલુ રહે તે માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારે રાજ્યોને LPG બોટલિંગ પ્લાન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પરિવહન વાહનોની સુરક્ષા સઘન બનાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ગેસના પુરવઠાનું રોજબરોજ મોનિટરિંગ કરવા અને કાળાબજારી કરનારાઓ સામે કડક હાથે કામ લેવા જણાવાયું છે. લોકોમાં ફેલાતી અફવાઓને ડામવા માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને જનજાગૃતિ અભિયાન શરૂ કરવા તેમજ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ કે જૂના વીડિયો દ્વારા ગભરાટ ફેલાવતા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

બેઠકમાં એ માહિતી પણ આપવામાં આવી હતી કે, રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને ઘરગથ્થુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યાપારી એકમો માટે LPG વિતરણ પર અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, પરંતુ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પરિસ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખવા માટે એક ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કર્યો છે, જેથી રાજ્યો સાથે રીયલ-ટાઇમ સંકલન સાધી શકાય.


