ખ્વાજા ગરીબ નવાઝના વાર્ષિક ઉર્સ નિમિત્તે અજમેરમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. ઉર્સના પવિત્ર પ્રસંગે શુક્રવારની નમાજ બાદ અચાનક ભીડનું દબાણ વધી જતાં અરાજકતા સર્જાઈ હતી.
ખ્વાજા ગરીબ નવાઝના વાર્ષિક ઉર્સ નિમિત્તે અજમેરમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. ઉર્સના પવિત્ર પ્રસંગે શુક્રવારની નમાજ બાદ અચાનક ભીડનું દબાણ વધી જતાં અરાજકતા સર્જાઈ હતી. દરગાહના સાંકડા રસ્તાઓ પર શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતાં ભાગદોડ જેવી સ્થિતિ ઉભી થઈ હતી, જોકે વહીવટીતંત્રની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.

મળતી વિગતો મુજબ, શુક્રવારની નમાજ પૂર્ણ થયા બાદ હજારો શ્રદ્ધાળુઓ એકસાથે દરગાહ શરીફમાંથી બહાર નીકળવા લાગ્યા હતા. દરગાહને જોડતા ધન મંડી વિસ્તારના સાંકડા રસ્તાઓ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડના દબાણને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા અને કચડાયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો.
સદનસીબે, તંત્રની સમયસરની કાર્યવાહીથી કોઈ જાનહાનિના સમાચાર નથી અને મોટી દુર્ઘટના બનતા અટકી છે. હાલમાં અજમેર દરગાહ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. આગામી દિવસોમાં ભીડ હજુ વધવાની શક્યતા હોવાથી વહીવટીતંત્રે ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે કડક આદેશો જારી કર્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે.


