ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશી અને 17 વર્ષના આયુષ મ્હાત્રેને પોત-પોતાની IPL ટીમો માટે તક મળતા જ તેમણે તબાહી મચાવી દીધી. બંને વચ્ચે એક શાનદાર કનેક્શન પણ છે.
વાસ્તવમાં બંને અંડર-19 ક્રિકેટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યા છે. બંને ગત વર્ષે ભારતીય ટીમ માટે ‘એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-19 એશિયા કપ’માં રમવા ઉતર્યા હતા, ત્યારે આ બે યુવા તુર્કોએ ઈનિંગની ઓપનિંગ કરી હતી.
શું ટીમ ઈન્ડિયાને મળી ગયા ભાવિ ઓપનર?
હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું આ બંને યુવા ક્રિકેટર ટીમ ઈન્ડિયાના ભવિષ્યના ઓપનર હોય શકે છે. જોકે, આ અંગે કંઈ પણ કહેવું હમણા વહેલું હશે, પરંતુ તેમ છતાં આ બંને જ ખેલાડીઓએ બેખૌફ થઈને IPLમાં બેટિંગ કરી છે, તેનાથી એ વાત તો નક્કી છે કે, આ બંને ખેલાડીઓ લાંબી રેસના ઘોડા સાબિત થઈ શકે છે. બસ હવે તેમણે પોતાની ક્રિકેટિંગ સ્કિલ્સને વધુ નિખારવાની જરૂર છે. અને ફોકસ ક્રિકેટ પર રહેવું જોઈએ ન કે ગેમના ગ્લેમર પર. તો ચોક્કસપણે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં દેખાય રહ્યું છે.વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે સૌથી વધુ ચર્ચામાં
IPLની આ સીઝન ઘણા મોટા સ્ટાર્સ માટે ખાસ રહી છે, પરંતુ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. આનું એક કારણ બંનેની નાની ઉંમર છે. 14 વર્ષના વૈભવે પોતાની આક્રમક બેટિંગથી બધાને ચોંકાવી દીધા, તો બીજી તરફ 17 વર્ષના આયુષ મ્હાત્રેએ પણ ધીરજ અને ક્લાસ સાથે પોતાના સ્ટ્રોક્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આયુષને 30 લાખ રૂપિયાની કિંમતે ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સે વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જો જોવા જઈએ તો બંને જ ખેલાડીઓને પોતાની ટીમમાં તક ત્યારે મળી જ્યારે તેમના કેપ્ટન ઈન્જર્ડ થયા. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો ત્યારે વૈભવને તક મળી, જ્યારે ઋતુરાજની જગ્યાએ આયુષને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. ખાસ વાત એ છે કે આ બંને ખેલાડીઓને ઓપનિંગ સ્લોટમાં રમવાની તક મળી છે. વૈભવની પ્લેઈંગ સ્ટાઈલ પહેલા જ બોલ પર એટેક કરીને રમવાની છે. જ્યારે આયુષ તેનાથી વિપરીત થોડો સાવધાનીપૂર્વક રમે છે.