IPL 2025 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મંગળવારે (ત્રીજી જૂન) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. નોંધનીય છે કે, IPLની વર્તમાન સિઝનમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો IPL 2025ની ફાઈનલ દરમિયાન વરસાદ પડે છે અથવા અન્ય કોઈ કારણોસર મેચ યોજાતી નથી, તો ચેમ્પિયન ટીમ કેવી રીતે નક્કી થશે. તો ચાલો જાણીએ નિયમ વિશે…
જાણો શું છે નિયમો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મેચમાં જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર ત્રીજી જૂને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને, તો મેચ રિઝર્વ ડે (ચોથી જૂન) પર જશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 120 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી એક દિવસમાં પરિણામ આવી શકે. તેમ છતાં જો પરિણામ ન આવે, તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડે પર, મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થશે. જો વરસાદ રિઝર્વ ડેમાં પણ વિઘ્ન બને છે અને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને, તો ઇન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરી શકાય છે.
જો સુપર ઓવર નહીં રમાય તો વિજેતાનો નિર્ણય પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવશે. નોંધનીય છે કે, વર્તમાન સીઝનમાં, પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજા સ્થાને રહી હતી. એટલે કે, જો મેચ ધોવાઈ જાય, તો પંજાબ કિંગ્સને વિજેતા જાહેર થશે.
પ્લેઓફ માટે આ નિયમ છે
જો ફાઈનલ મેચ ડ્રો થાય તો બંને ટીમો સુપરઓવર રમશે. જો સુપરઓવરમાં પણ પરિણામ ન આવે તો IPLના નિયમો અનુસાર લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
અમદાવાદનું હવામાન કેવું રહેશે
હવામાન વિભાગે ત્રીજી જૂને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર અરુણકુમાર દાસે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે અને આકાશ પણ વાદળછાયું રહેવાની શક્યતા છે.’