કોઈપણ શુભ કાર્ય માટે શુભ ઉર્જા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં પંચાંગ (તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ) ઉપરાંત શુભ યોગનું મહત્ત્વ અને મુહૂર્ત બાબત ખૂબ અગત્યની છે, યોગ્ય સમયમાં કરેલું કાર્ય અવશ્ય સફળ થાય છે. પ્રત્યેક વ્યક્તિને પોતાનું કાર્ય સુખરૂપ સંપન્ન થાય, કોઈ વિઘ્ન કે અપશુકન ન આવે તે હેતુથી વિદ્વાનો પાસે શુભ સમય, શુભ મુહૂર્તનો ચોક્કસ સમય અને ગણતરી કરવામાં આવતી હોય છે. મહત્ત્વનું છે કે સામાન્ય રીતે પંચાંગ સવા વર્ષનું હોય છે ત્યારે જૈન આચાર્યશ્રી અરવિંદ સાગર સૂરિ મા. સા. દ્વારા હવે ભવિષ્યમાં મૂહુર્ત, પ્રસંગો અને ગ્રહો વિશેની માહિતી આગામી 100 વર્ષ સુધી મેળવી શકાય તેવું શાસ્ત્રાર્થ પંચાંગ બનાવ્યું છે. આચાર્યદેવ શ્રી અરવિંદ સાગર સૂરીશ્વરજીએ 2020માં પુડ્ડુચેરીમાં સ્થિરતા દરમિયાન કોરોના મહામારીના સમયમાં આ શતવર્ષીય શાસ્ત્રાર્થ પંચાંગની તૈયારી શરુ કરી હતી. પાંચ વર્ષની મહેનત બાદ તે પૂર્ણ થયું છે.
મહેસાણાના સીમંધર સ્વામી તીર્થની ઊર્જાભૂમિમાં રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં 29 એપ્રિલ, 2025 (મંગળવાર) સવારે 9 વાગ્યે ‘શ્રી સીમંધર સ્વામી પ્રત્યક્ષ પંચાંગના શતવર્ષીય શાસ્ત્રાર્થ’ ગ્રંથના ચાર ભાગોનું વિમોચન કરાયું હતું.
1980માં શ્રી અરુણોદય સૂરિજી દ્વારા શ્રી સીમંધર સ્વામી પ્રત્યક્ષ પંચાંગની શરુઆત કરવામાં આવી અને 1985માં દેવકીનંદન અમદાવાદમાં ચાતુર્માસ વખતે ઈ.સ. 1985-86(વિ.સં. 2042)ના પંચાંગમાં સંપાદક તરીકે ફોટા સાથે શ્રી અરવિંદ સાગરજીનું નામ છપાતાં તેમને એક નવો અનુભવ અને ગુરુ ઇચ્છાનો ભાવ વધ્યો.
જ્યોતિષ ગણિતનું જ્ઞાન મેળવવા અમદાવાદ નિવાસી અને વેધશાળાના અગ્રણી એવા ડૉ. હિંમતરામ મહાશંકર જાની જેવા જ્ઞાનીનો સંપર્ક થયો અને લગભગ બે વર્ષ સુધી મહેનત કરી, જેમાં લગભગ 3 કિ. મી. સુધી ચાલીને તેઓના ત્યાં જતા અને ગ્રહ લાઘવ, કેતકી ગણિત, સૂર્ય સિદ્ધાંત વગેરે જેવા ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તે સમયે દરરોજ 10 કલાક પંચાંગ ગણિત તરીકે મહેનત કરીને એક વર્ષનું પંચાંગ તૈયાર કર્યું, અને 1989-90માં સ્વતંત્ર રીતે ગણિત તૈયાર કરી પંચાંગ રજૂ કર્યું હતું.
વર્ષ 1988માં કોમ્યુટરની બેઝિક લેન્ગવેજમાં અને 1990માં FoxProમાં પંચાંગ ગણિતનો એક પ્રોગ્રામ તૈયાર કર્યો હતો તેમજ જર્મનીનું “C” લેન્ગવેજનું એસ્ટ્રોલોજી સોફ્ટવેર પણ જોયું. પંચાંગ ગણિત બાદ શુભાશુભ યોગ અંગે શાસ્ત્રાર્થનું સોફ્ટવેર તૈયાર કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો.
100 વર્ષનું શાસ્ત્રાર્થ પંચાંગ વિ. સં. 2071(ઈ.સ. 2014)થી વિ. સં. 2170 (ઈ.સ. 2114) સુધી
100 વર્ષના શાસ્ત્રાર્થ પંચાંગની ઉપયોગિતા ઘણી મહત્ત્વની છે, કેમકે વાર્ષિક પંચાંગમાં સવા વર્ષની વિગત આપવામાં આવતી હોય છે. પરંતુ આ પંચાંગમાં સવા વર્ષ પછી કોઈ માહિતીની જરૂર પડે જેવી કે કોઈ લગ્ન, તીર્થધામ(તેના બાંધકામ, પ્રતિષ્ઠા વગેરે)ના આયોજન અંગે વિવિધ કાર્યક્રમ, ભૌગોલિક ઘટના, ૠતુ (ખાસ કરીને ચોમાસુ કેવું રહેશે) અને વિશેષ યોગ વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. જેના કારણે કોઈ લાંબા સમયનું આયોજન કરવું પણ સરળ થશે. વધુમાં ગુરુ જેવા ગ્રહો ક્યારે કેટલા સમય દરમિયાન અતિચારી બને છે તેનું માર્ગદર્શન મળી શકશે જેના કારણે જ્યોતિષમાં આર્થિક સ્થિતિનું આકલન જે તે વર્ષ અંગે કરી શકાય. આ ઉપરાંત ગ્રહણ જેવી ઘટના પણ કયા વર્ષમાં કેવું ફળ આપી શકે તેની અગાઉથી જ ગણતરી કરી શકાય. આ 100 વર્ષીય પંચાંગ જ્યોતિષી ઉપરાંત જ્યોતિષમાં સંશોધન કરનાર માટે પણ આશીર્વાદરૂપ ગણી શકાય.