ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદની ટીમે કપડવંજ ખાતે આવેલ સત્યનારાયણ ટ્રેડર્સ પર દરોડો પાડ્યો હતો જેમાં તપાસ દરમિયાન પેઢીના માલિક લજપતભાઈ તનસુખભાઈ શર્મા હાજર રહ્યા હતા. તપાસમાં પેઢી પાસે 5 નવેમ્બર 2024 સુધી માટે માન્ય ખાદ્ય પદાર્થ પરવાનો હતો, પરંતુ એ પરવાનાની મુદત પૂરી થઈ ગયા બાદ પણ તેલ પેકિંગની પ્રવૃતિ ગેરકાયદેસર રીતે ચાલુ રાખવામાં આવી રહી હતી. અધિકારીઓને સ્થળ પરથી સરીતા બ્રાન્ડના કપાસિયા તેલ અને કોહિનૂર એડિબલ ઓઈલ બ્રાન્ડના સોયાબીન તેલમાં ભેળસેળની શંકા જણાઈ, જેને લઈને બંને પ્રકારના તેલના નમૂનાઓ લેબોરેટરી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જાહેર આરોગ્યની દૃષ્ટિએ તંત્રે આ કાર્યવાહી અંતર્ગત લગભગ 1500 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો સ્થળ પરથી જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજ રૂ. 2 લાખ જેટલી થાય છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક રીતે શંકાસ્પદ જણાઈ રહ્યા છે. લેબોરેટરી અહેવાલ મળ્યા બાદ નિયમસર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર : નરેશ ગનવાણી, નડિયાદ