ડાકોર પદયાત્રીઓ માટે ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેક્સિકન રાઈસ, પાસ્તા અને પાવભાજી જેવી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. 31 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલે છે.
ફાગણી પૂનમના પાવન અવસરે ઠાકોરજીના દર્શને જતા લાખો પદયાત્રીઓ માટે સેવાના કેમ્પો શરૂ થઈ ગયા છે. આ વર્ષે ડાકોર માર્ગ પર ભક્તોને માત્ર પરંપરાગત ગુજરાતી ભોજન જ નહીં, પરંતુ વિદેશી વ્યંજનોનો સ્વાદ પણ માણવા મળશે. સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે ખાસ મેક્સિકન ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે.
છેલ્લા 31 વર્ષથી અવિરત સેવા આપતા ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે મેનૂમાં મેક્સિકન રાઈસ, મેક્સિકન કઢી અને પાસ્તા જેવા આધુનિક વ્યંજનો ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત પદયાત્રીઓ પાઉંભાજી, ઇન્દોરી કચોરી, ખમણ, દાળ-ભાત, શાક-પૂરી અને શિરા જેવી વાનગીઓનો પણ નિઃશુલ્ક આનંદ માણી રહ્યા છે. આ સંસ્થા દર વર્ષે પદયાત્રીઓ માટે અવનવી વાનગીઓ પીરસવા માટે જાણીતી છે.

ભક્તિની સાથે ભૌતિક સુવિધાઓનો સંગમ
યાત્રાના થાકને ઉતારવા માટે ટ્રસ્ટ દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
આરોગ્ય સેવા: પદયાત્રીઓ માટે પગની માલિશ અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ.
રહેવા-જમવાની વ્યવસ્થા: ભક્તોને રાત્રિ રોકાણ માટે રહેવા તેમજ નાહવા-ધોવાની ઉત્તમ સગવડ.
ભક્તિમય માહોલ: ભજન મંડળીઓ દ્વારા રામધૂન અને ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે, જેથી યાત્રીઓનો થાક હળવો થાય.
ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટની આ અનોખી સેવાની પદયાત્રીઓ ભારે પ્રશંસા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પ ભક્તિ અને આધુનિક લિજ્જતનો અદભૂત સંગમ સાબિત થઈ રહ્યો છે.


