મધ્ય પૂર્વના દેશો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ઉત્તર ગુજરાતના વેપાર સુધી પહોંચી છે. એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા APMC (મસાલા માર્કેટ) પર આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની ઘેરી અસર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે મસાલાની નિકાસ લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં જીરાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
વિદેશી ઓર્ડરો અટકી પડતા અને માલનો ભરાવો થતા જીરાના ભાવ તળિયે બેસી ગયા છે. અગાઉ જીરાનો ભાવ જે રૂપિયા 4400 થી 4700 ની આસપાસ હતો, તે ઘટીને હવે રૂપિયા 3900 થી 4100 સુધી પહોંચી ગયો છે. આમ, એક જ ઝટકે ભાવમાં રૂપિયા 400 થી 500નો કડાકો બોલતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વેપારી સીતારામ પટેલના જણાવ્યા અનુસાર, માલની માગ ઘટતા બજારમાં ભારે અસમંજસની સ્થિતિ છે.

યુદ્ધના કારણે માત્ર ભાવ જ નથી ઘટ્યા, પરંતુ એક્સપોર્ટ ખર્ચમાં પણ કમરતોડ વધારો થયો છે. દરિયાઈ માર્ગે હુમલાના જોખમને જોતા શિપિંગ કંપનીઓએ કન્ટેનરના ભાડામાં 5 થી 6 ગણો વધારો ઝીંક્યો છે. આ સાથે જ મરીન ઈન્સ્યોરન્સ (વીમો) પણ બમણો થઈ ગયો છે. સ્થાનિક વેપારીઓ આર. કે. પટેલ અને સીતારામ ભાઈ જણાવે છે કે, જૂના ઓર્ડરો ખોરવાયા છે અને વિદેશમાં મોકલેલા માલના પેમેન્ટ પણ અટવાઈ પડ્યા છે. જો આ સંઘર્ષ લાંબો ચાલશે, તો ઊંઝાના વેપારને મોટું નુકસાન થવાની ભીતિ છે.


