મા બહુચરમાં શ્રાદ્ધા અને આસ્થા ધરાવતાં શ્રાદ્ધાળુઓ પૂનમના દિવસે માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી ઉમટી પડયા હતાં. માઈભકતો હાથમાં ધજા અને મુખમાં માના નામ સાથે મંદિરના ચાચરચોકમાં પ્રવેશ કરતાં માનું ધામ ગુંજી ઉઠયું હતું. નાચતાં ગાતા અને માતાજીના નામના જયઘોષ કરતાં માઈભકતોના કારણે માતાજીના ચાચરચોકમાં અલૌકિક વાતાવરણ ઉભુ થવા પામ્યું હતું.

સવારની મંગળા આરતીમાં અને સાંજની આરતીમાં મોટીસંખ્યામાં ભાવિક ભકતો જોડાતા આરતી સોળેકળાએ ખીલી ઉઠી હતી. સવારથી માતાજીના દર્શન માટે શરૂ થયેલ ભાવિક ભકતોનો પ્રવાહ મોટી રાત સુધી અવિરત જોવા મળ્યો હતો. પૂનમની રાત્રે 9:30 કલાકે નગરચર્યાએ નીકળેલી માતાજીની પાલખીમાં મોટીસંખ્યામાં જોડાયેલાં શ્રાદ્ધાળુઓ મા બહુચરના જયઘોષ કરતાં માનું ધામ ગુંજી ઉઠયું હતું. માગસરી સુદ પૂનમ અને ગુરૂવારના દિવસે યાત્રાધામ બહુચરાજીની જેમ શંખલપુર ખાતે પણ સવારથી માઈભકતોની ભારે ભીડ જોવા મળી હતી. પૂનમને લઈને શંખલપુર મંદિરમાં મનમોહક શણગાર કરાયો હતો. શંખલપુર મા બહુચરના મંદિર પર ધ્વજારોહણ સમયે અને મા સન્મુખ ભરાયેલ અન્નકૂટ સમયે મોટી સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે ઉમટી પડતાં ધર્મોત્સવ જેવું વાતાવરણ ઉભુ થવા પામ્યું હતું. ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલી ભોજન પ્રસાદનો લાભ ભાવિકોએ લીધો હતો.


