દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગતરોજ મળસ્કે સર્જાયેલા અકસ્માતમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે ખોળામાં રહેલી અઢી વર્ષીય બાળકી સહિત 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી જોવા મળી રહી છે. તેવામાં ગતરોજ મળસ્કે રાજસ્થાનથી પરત ફરેલા ભરૂચના શાહ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ખોળામાં બેસેલી બાળકીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતુ. આ બનાવની હાઇવે પોલીસ અને 108 ઇમર્જન્સીને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી મુજબ, ભરૂચના ભોલાવની ગોદાવરી પાર્ક સોસાયટીમાં રહેતા સાડીના વેપારી ત્રિપુલકુમાર શાહ તેઓની કાર લઈ ગત 27 મેની રાત્રે રાજસ્થાન ધાર્મિક વિધિ માટે ગયા હતા. તેઓ સાથે કારમાં 33 વર્ષીય તેમનું પત્ની ભાવિકાબેન, અઢી વર્ષની દીકરી તકસી, 55 વર્ષીય સાસુ નૈનાબેન અને 75 વર્ષીય દાદી-સાસુ સુર્મિલાબેન શાહ સવાર હતા.
રાજસ્થાનના નીતોડા અને કાછોલી ગામથી વિધિ પતાવી કારમાં તેઓ ગતરોજ રાત્રે ભરૂચ પરત ફરી રહ્યા હતા ત્યારે મળસ્કે 4.20 કલાકે તેઓ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણની હદમાં પ્રવેશ્યા હતા. ત્રિપુલભાઈ કાર બીજી લેનમાં ચલાવી રહ્યા હતા ત્યારે બોડકા ગામની સીમ નજીકથી પસાર થતી વખતે એક પીકઅપ વાને તેઓને ઓવરટેક કર્યા હતા. આગળ અન્ય બીજું વાહન ચાલતું હોય શાહ પરિવારની કાર પીકઅપ પાછળ ઘુસી ગઈ હતી.
કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત સર્જાતા થોડે કાર દૂર સુધી ઢસડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં આગળ બેસેલા ત્રિપુલભાઈની પત્ની ભાવિકાબેનનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે કાર પાછળ નાનીના ખોળામાં બેસેલી અઢી વર્ષની બાળકી તકસીનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતમાં કાર ચાલક પતિ, પુત્રી, સાસુ અને દાદી-સાસુને ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડાયા હતા. આ બનાવને પગલે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter : કેતન મહેતા, ભરૂચ