હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતાં જ તમામને સૌપ્રથમ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક જ વ્યક્તિને છોડી તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. જે બાદ જે વ્યક્તિ બચી ગઈ હતી તેણે પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો. પંચકૂલા પોલીસના ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમ દ્વારા તમામ પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
પંચકૂલાના સેક્ટર 27માં એક ખાલી પ્લોટની અંદર ઊભેલી કારમાં રાતના સવા 12 વાગ્યાની આસપાસ સાત લોકો શંકાસ્પદ હાલતમળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં એમ્બ્યુયલન્સ બોલાવવામાં આવી. જોકે સાતમાંથી છ લોકોના તો પહેલા જ મોત થઈ ચૂક્યા હતા. બાદમાં યુવકનું મૃત્યુ થયું. જે કારમાંથી મૃતદેહ મળી આવ્યા તેના પર ઉત્તરાખંડના દેહરાદૂનની નંબર પ્લેટ છે. પોલીસને કારમાંથી ખાવા-પીવાનો સામાન, સ્કૂલ બેગ, કપડાં સહિતની વસ્તુઓ મળી આવી છે.