દિલ્હી લિકર કેસ મામલે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના 23 આરોપીઓને મોટી રાહત આપતા નીચલી અદાલતના નિર્ણયને પડકારતી CBIની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે તમામ 23 પક્ષકારોને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અહીં સુનાવણી પૂરી નહીં થાય, ત્યાં સુધી નીચલી અદાલતનો ડિસ્ચાર્જ ઑર્ડર અમલી ગણાશે નહીં.
CBI વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કૌભાંડને દેશની રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ નીતિ ચોક્કસ વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે જ બનાવવામાં આવી હતી અને તેમાં હવાલા દ્વારા નાણાંની લેવડદેવડ થઈ હતી. CBIએ પુરાવા તરીકે ઈમેઇલ, વ્હોટ્સએપ ચેટ અને 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો રજૂ કર્યા છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે અંદાજે 170 જેટલા ફોન તોડી નાખ્યા હતા.

તુષાર મહેતાએ નીચલી અદાલતના આદેશ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ગુનાહિત કાવતરું ક્યારેય ખુલ્લેઆમ રચાતું નથી અને તપાસમાં મળેલા તથ્યોને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે ગોવા ચૂંટણી માટે 44.50 કરોડ રૂપિયા હવાલા મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે નીચલી અદાલતના એવા અવલોકન પર પણ રોક લગાવી છે જેમાં CBIના તપાસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસની ભલામણ કરવામાં આવી હતી. કોર્ટના મતે નીચલી અદાલતના કેટલાક અવલોકનો તથ્યાત્મક રીતે ભૂલભરેલા જણાયા છે.


