દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકાર અનેક નવતર પ્રયોગ કરી રહી છે. હવે દિલ્હી સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં પણ કોલસો-લાકડા બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ આ આદેશ કરાયો છે. આ સાથે તમામ હોટલ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, હવે તેમણે માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર અથવા અન્ય સ્વચ્છ ઇંધણ (Clean Fuel)ના વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે.
એટલું જ નહીં, જો દિલ્હીમાં કોઈ વ્યક્તિ ખુલ્લામાં કચરો સળગાવતા પકડાશે, તો તેની પર રૂ. 5,000 સુધીનો દંડ વસૂલાશે. ખુલ્લામાં કચરો બાળવા પર સંપૂર્ણ પ્રતિબંધનો નિયમ કડકાઈથી લાગુ કરવા માટે જિલ્લા તંત્ર અને દિલ્હી નગર નિગમ (MCD)ને દંડ વસૂલવાની સત્તા અપાઈ છે.

આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ‘X’ પર જણાવ્યું હતું કે, તેમણે મંગળવારે દિલ્હી સચિવાલયમાં ફાયર વિભાગ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે દિલ્હી ફાયર સર્વિસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે ફાયર સેફ્ટી NOC આપવાની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને સુવ્યવસ્થિત હોય. હોટલ, રેસ્ટોરન્ટ, નાઇટ ક્લબ, મલ્ટિપ્લેક્સ અને અન્ય વાણિજ્યિક સંસ્થાઓને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો ન કરવો જોઈએ. અમારું લક્ષ્ય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરતી વખતે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનું છે.


