પશ્ચિમ એશિયાના યુદ્ધે ભારતની રસોઈના બજેટ અને વ્યવસ્થાને વેરવિખેર કરી દીધી છે. બુધવારે દેશભરના અનેક મહાનગરોમાં રાંધણ ગેસની તીવ્ર અછત જોવા મળી હતી.પશ્ચિમ એશિયાના યુદ્ધે ભારતની રસોઈના બજેટ અને વ્યવસ્થાને વેરવિખેર કરી દીધી છે. બુધવારે દેશભરના અનેક મહાનગરોમાં રાંધણ ગેસની તીવ્ર અછત જોવા મળી હતી, જેના કારણે માત્ર સામાન્ય ઘરોમાં જ નહીં, પરંતુ મોટા ધાર્મિક સ્થળો અને સરકારી સંસ્થાઓમાં પણ કામગીરી અટકી પડી છે.
યુપીના અયોધ્યામાં રામ મંદિર નજીક સ્થિત ‘શ્રી રામ રસોઈ’ દ્વારા કરવામાં આવતું ભોજન વિતરણ ગેસના અભાવે કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની ફરજ પડી છે. આ રસોઈ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને ભોજન કરાવવામાં આવતું હતું. બીજી તરફ, દેશની રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં પણ ગેસ પૂરો થઈ જતાં વકીલો અને સ્ટાફ માટેનો મુખ્ય કોર્સ (Main Course) રદ કરવામાં આવ્યો છે. કેન્ટીન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી માત્ર સેન્ડવીચ અને સલાડ જેવી ચીજો જ ઉપલબ્ધ રહેશે.

રાંધણ ગેસના મુદ્દે બુધવારે લોકસભામાં વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો હતો. દક્ષિણ ભારતમાં ચેન્નાઈ અને તમિલનાડુના ભાગોમાં વાણિજ્યિક ગેસના અભાવે ઘણી હોટલોએ તેમના સ્ટાફને રજા આપી દીધી છે, જ્યારે મુંબઈની હોટલોએ તેમનું મેનુ ટૂંકાવવું પડ્યું છે. રેલવે મુસાફરો માટે પણ ટ્રેનમાં ભોજનની ઉપલબ્ધતા અંગેની ચિંતા વધી રહી છે.
દિલ્હી, બિહાર, ભોપાલ અને ચંદીગઢ જેવા શહેરોમાં LPG એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો લાગી છે. ખાસ કરીને ઓનલાઇન બુકિંગ સિસ્ટમ ખોરવાઈ જતાં લોકોને રૂબરૂ જઈને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સરકાર ભલે પૂરતા સ્ટોકનો દાવો કરે, પરંતુ પશ્ચિમ એશિયાના સંકટને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


