દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 3758 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં, 363 નવા ચેપગ્રસ્ત દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી, જ્યારે 1818 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓના મોત થયા છે. કર્ણાટકમાં, એક 63 વર્ષીય વૃદ્ધ દર્દીનું મૃત્યુ થયું, જે પહેલાથી જ અન્ય રોગોથી પીડાતા હતા. કેરળમાં 24 વર્ષીય મહિલાનું ચેપથી મૃત્યુ થયું છે.

ત્યારે માહિતી અનુસાર, કેરળમાં સૌથી વધુ 1400 કોરોના કેસ, મહારાષ્ટ્રમાં 485 અને દિલ્હીમાં 436 કેસ છે. ગુજરાતમાં 320, પશ્ચિમ બંગાળમાં 287 અને કર્ણાટકમાં 238 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં તમિલનાડુમાં 199 અને યુપીમાં 149 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જાણકારી મુજબ દેશમાં કોવિડ-19 ની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ચેપની તીવ્રતા ઓછી છે. મોટાભાગના દર્દીઓ ઘરે જ ક્વોરેન્ટાઇનમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.