આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લુરુમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. આરસીબી, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને કર્ણાટક સરકારે આ સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા હતા. પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને આજે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે.
અહેવાલો અનુસાર, કર્ણાટક હાઈકોર્ટ ગુરુવારે (પાંચમી જૂન) આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગ સંબંધિત કેસની સુનાવણી કરશે. આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ ઊઠાવવામાં આવ્યો છે.
કર્ણાટક સરકારે કોર્ટને આ ઘટના કેવી રીતે બની અને અત્યાર સુધી કયા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવા સંમતિ આપી છે. આ મામલાની સુનાવણી બપોરે 2:30 વાગ્યે થશે. કર્ણાટક સરકાર આજે હાઈકોર્ટને નાસભાગમાં શું થયું અને તેણે શું કાર્યવાહી કરી તે અંગે જણાવે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, ‘આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે. સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા… (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા… અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.’