E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ 'ગદ્દાર મિત્ર' કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં...

National : સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા

સંસદમાં આજે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે સંસદના ગેટ પર કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂને ‘ગદ્દાર દોસ્ત’ ગણાવ્યા હતા. તેના જવાબમાં બિટ્ટૂએ પણ રાહુલ ગાંધીને ‘દેશના દુશ્મન’ કહ્યા હતા.

રાહુલ ગાંધીએ સંસદમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂને પોતાના ગદ્દાર મિત્ર ગણાવ્યા હતા, જેના કારણે બિટ્ટૂ ગુસ્સે ભરાયા હતા. તેમણે રાહુલ ગાંધી તરફ આંગળી ચીંધીને કહ્યું હતું કે, “તેઓ દેશના દુશ્મન છે.”

સંસદના દ્વારે બનેલી આ ઘટનામાં જ્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા, ત્યારે તેમણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂને ‘ગદ્દાર દોસ્ત’ કહીને સંબોધ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી હાથ મિલાવવા માટે બિટ્ટૂ તરફ હાથ લંબાવે છે, પરંતુ બિટ્ટૂ હાથ આગળ વધારતા નથી. ‘ગદ્દાર દોસ્ત’વાળા નિવેદન પર બિટ્ટૂએ પણ તરત જ પલટવાર કર્યો અને કહ્યું કે, તેમને “દેશના દુશ્મનો” સાથે કોઈ લેવાદેવા નથી.

ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા રવનીત સિંહ બિટ્ટૂ પ્રથમવાર 2009માં આનંદપુર સાહિબથી લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ 2014 અને 2019માં તેઓ લુધિયાણાથી જીત્યા હતા.

પક્ષ પલટો: ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજોના પ્રખર ટીકાકાર ગણાતા બિટ્ટૂ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

ચૂંટણી પરિણામ: લુધિયાણા બેઠક પરથી તેઓ પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ સામે અંદાજે 20 હજાર મતોથી હારી ગયા હતા.

મંત્રી પદ: ચૂંટણી હારવા છતાં કેન્દ્ર સરકારમાં તેમને સ્થાન આપવામાં આવ્યું અને હાલ તેઓ રેલવે તથા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.

બિટ્ટૂ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ 20 વર્ષની ઉંમરે તેમણે તેમના દાદા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહને ગુમાવ્યા હતા. જેમની 31 ઑગસ્ટ 1995ના રોજ ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ હત્યા કરી હતી. વર્ષ 2007માં રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ બિટ્ટૂએ રાજકારણમાં ડગ માંડ્યા હતા.

આ પહેલીવાર નથી જ્યારે બિટ્ટૂ અને રાહુલ ગાંધી વચ્ચે આ પ્રકારની નિવેદનબાજી થઈ હોય. સપ્ટેમ્બર 2024 માં બિટ્ટૂએ રાહુલ ગાંધી પર શીખ સમુદાયને વહેંચવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા અત્યંત તીખું નિવેદન આપ્યું હતું. અમેરિકામાં શીખો અંગે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં બિટ્ટૂએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ શીખોને વહેંચવાનો પ્રયાસ કર્યો છે. શીખ કોઈ પક્ષ સાથે બંધાયેલા નથી અને આ માત્ર આગ લગાવવાનો પ્રયાસ છે. રાહુલ ગાંધી દેશના ‘નંબર વન ટેરરિસ્ટ’ (આતંકવાદી) છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments