ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં વિજિલન્સ વિભાગે રાજ્ય સરકારના ચીફ એન્જિનિયર બૈકુંઠનાથ સારંગીના સાત સ્થળે એક સાથે દરોડા પાડતા હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન સારંગીએ ડરના માર્યા ફ્લેટની બારીમાંથી ₹2.1 કરોડની રોકડના બંડલ ફેંકી દીધા હતા. સ્થાનિક લોકો પણ આટલી રોકડ જમીન પર પડેલી જોઈને ચોંકી ગયા હતા. ત્યાર પછી વિજિલન્સ ટીમે આ રોકડ જપ્ત કરી હતી.
ભુવનેશ્વર, કટક, પુરી અને બાલાસોર સહિત સાત સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. વિજિલન્સ વિભાગની સાત ટીમ અને 50થી વધુ અધિકારીઓએ આ કાર્યવાહી હાથ ધરી હતી. 26 પોલીસકર્મીઓની એક ખાસ ટીમ પણ સર્ચમાં સામેલ હતી, જેમાં 8 ડીએસપી, 12 ઇન્સ્પેક્ટર અને 6 એએસઆઈનો સમાવેશ થતો હતો.
આ તપાસ દરમિયાન ₹2.1 કરોડ રોકડ, મોંઘા ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર, કિંમતી ઘરેણાં, જમીન અને ફ્લેટ સંબંધિત દસ્તાવેજો, અનેક બેંક ખાતા અને લોકર્સની માહિતી સામે આવી હતી.
વિજિલન્સ વિભાગ હવે આ રોકડની કાયદેસરતાની તપાસ કરી રહ્યું છે અને બૈકુંઠનાથ સારંગી સામે અપ્રમાણસર સંપત્તિ રાખવા, ભ્રષ્ટાચાર અને સરકારી સંસાધનોના દુરુપયોગ સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. સારંગીને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી, પરંતુ તેની સામે FIR નોંધવામાં આવી છે. વિગતવાર પૂછપરછ માટે તેને સમન્સ જારી કરવામાં આવ્યું છે.
આ કેસ ઓડિશાના અમલદારશાહી માળખા પર ઘણાં ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. કે આટલી મોટી રોકડ રકમ સરકારી અધિકારી સુધી કેવી રીતે પહોંચી? અને શું આ ભ્રષ્ટાચારની કડી છે કે કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલું કાવતરું છે? આ પહેલા પણ રાજ્યમાં પીડબ્લ્યુડી, ગ્રામીણ વિકાસ વિભાગ અને જળ સંસાધન વિભાગ સાથે સંકળાયેલા એન્જિનિયરો સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જો કે, બારીમાંથી રોકડ ફેંકવાની ઘટનાને પગલે આ કેસ ખાસ ચર્ચાનો વિષય બની ગયો છે.