પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. રવિવાર (પહેલી જૂન) સાંજે સિક્કિમમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલનથી ત્રણ જવાનોના મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 સૈનિકો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, રવિવાર (પહેલી જૂન 2025)ના રોજ સાંજે 7 વાગ્યે ઉત્તર સિક્કિમના ચટ્ટનમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન થયું હતું. આ ભૂસ્ખલનમાં ત્રણ જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ગુમ પણ છે. મૃતકોની ઓળખ અને ગુમ થયેલા લોકોની ઓળખ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ 1500 પ્રવાસીઓ ફસાયા છે. મંગન જિલ્લાના એસપી સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું હતું કે, ‘115 પ્રવાસીઓ લાચેનમાં અને 1350 પ્રવાસીઓ લાચુંગમાં રોકાયા છે. ભૂસ્ખલનને કારણે બંને બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે.
લાચુંગ સાથેનો માર્ગ સંપર્ક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને આજથી પ્રવાસીઓનું સ્થળાંતર શરૂ થશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ટીમે ભૂસ્ખલનથી જમા થયેલા કાટમાળને દૂર કર્યો છે, ક્ષતિગ્રસ્ત ભાગોને ફરીથી બનાવ્યા છે અને ફિડાંગ ખાતે ‘સસ્પેન્શન બ્રિજ’ પાસેની તિરાડો ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી લાચુંગ-ચુંગથાંગ-શિપ્યારે-શાંકલાંગ-ડિક્ચુ રોડ દ્વારા ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાનો માર્ગ મોકળો થાયો છે.