સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ધોરણ 10ના વિદ્યાર્થી માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં બોર્ડે વર્ષ 2026ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સવાલ-જવાબ લખવાની રીતમાં મોટા ફેરફાર કર્યા છે. જેમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને વિષયના પ્રશ્નપત્ર અને ઉત્તરવહીમાં લખવાની રીતે સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવી છે.
CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વ્યવસ્થિત પ્રશ્નોના જવાબ લખી શકે અને પછી પેપર ચેકિંગમાં કોઈ અગવડતા ન પડે એટલાં માટે બોર્ડે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રોને અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અગાઉ વિદ્યાર્થી એકજ ક્રમમાં પ્રશ્નોના જવાબ લખતા હતા, જેનાથી જવાબમાં ગડબડ ઊભી થતી હતી. એટલે હવે બોર્ડે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ નિયમ લાગૂ કર્યો છે. નવી ગાઈડલાઈન CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પરથી મેળવી શકાશે.

CBSE અનુસાર, વિજ્ઞાનના પ્રશ્નપ્રત્ર ત્રણ ભાગમાં રહેશે. સૌથી પહેલા સેક્શન Aમાં બાયોલોજીના સવાલો, સેક્શન Bમાં કેમેસ્ટ્રી અને સેક્શન Cમાં ફિઝિક્સના પ્રશ્નો રહેશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં આ રીતે ત્રણ અલગ-અલગ સેક્શનના આધારે જવાબ લખવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થીએ ફિઝિક્સના પ્રશ્નોના જવાબો બાયોલોજીમાં લખ્યા હશે તો તેને કોઈ માર્ક્સ મળશે નહીં.
આ જ પ્રકારે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર ચાર સેક્શનમાં રહેશે. જેમાં પહેલા સેક્શન Aમાં ઈતિહાસના સવાલો, સેક્શન Bમાં ભૂગોળ, સેક્શન Cમાં રાજનીતિ વિજ્ઞાન અને સેક્શન Dમાં અર્થશાસ્ત્રના સવાલો રહેશે. આમ વિદ્યાર્થીઓ અલગ-અલગ ચાર સેક્શનના આધારે પ્રશ્નોના જવાબ આપવાના થશે.
CBSEએ વિદ્યાર્થીઓ માટે ત્રણ મુખ્ય સૂચનાઓ જારી કરી છે. જેમાં પહેલી સૂચના એ છે કે, વિજ્ઞાનની ઉત્તરવહીમાં ત્રણ વિભાગો અને સામાજિક વિજ્ઞાનની ઉત્તરવહીમાં ચાર વિભાગો બનાવવા પડશે. બીજું એ છે કે, કોઈપણ વિભાગના જવાબો અન્ય કોઈ વિભાગમાં લખી શકાશે નહીં. ત્રીજું અને સૌથી કડક સૂચના એ છે કે, જો કોઈ વિદ્યાર્થી આવું કરશે તો તેના જવાબનું મૂલ્યાંકન થશે નહીં. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આવી ભૂલને પુનઃતપાસ અથવા પુનઃમૂલ્યાંકન દરમિયાન પણ સુધારી શકાતી નથી. આનો અર્થ એ છે કે, ભૂલ પછી ગુણ ગુમાવવાની ઉચ્ચ સંભાવના છે.


