પશ્ચિમ બંગાળની ચૂંટણીની તૈયારીઓને લઈને આયોજિત એક રિવ્યૂ મીટિંગમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અનુરાગ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. અનુરાગ યાદવને બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી નિરીક્ષક(ઓબ્ઝર્વર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમને પોલિંગ બૂથની સંખ્યા જેવા પાયાના સવાલો પૂછ્યા, ત્યારે જવાબ આપવામાં વિલંબ થતા મામલો બિચક્યો હતો. કમિશનરે કરેલી કોઈ ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા IAS અનુરાગ યાદવે કડક શબ્દોમાં કહ્યું હતું કે, ‘તમે અમારી સાથે આ રીતે વાત ન કરી શકો, મેં પણ આ સેવામાં 25 વર્ષ પસાર કર્યા છે.’
આ ઘટના બાદ બેઠકમાં થોડીવાર માટે સોપો પડી ગયો હતો અને બાદમાં અન્ય વિષયો પર ચર્ચા કરીને મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી. આ વિવાદ બાદ હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે અનુરાગ યાદવને ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તેમને કોઈ બહેસના કારણે નહીં, પરંતુ કામગીરીમાં અક્ષમ રહેવા બદલ હટાવવામાં આવ્યા છે. પંચના અધિકારીના જણાવ્યા અનુસાર, લાંબો સમય ક્ષેત્રમાં વિતાવ્યા બાદ પણ જો કોઈ વરિષ્ઠ અધિકારી પાયાની વિગતો ન આપી શકે તો તે ગંભીર બાબત ગણાય.

અનુરાગ યાદવ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં સામાજિક કલ્યાણ અને સૈનિક કલ્યાણ વિભાગમાં પ્રધાન સચિવ તરીકે કાર્યરત છે. અગાઉ તેઓ આઈટી વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં ઓબ્ઝર્વરની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે, કારણ કે તેઓ પંચની આંખ અને કાન સમાન માનવામાં આવે છે. આવા જવાબદાર પદ પર હોવા છતાં માહિતી આપવામાં વિલંબ અને ત્યારબાદ સર્જાયેલા વિવાદને કારણે પંચે આ કડક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


