ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશના ઉર્જા માળખામાં એક કડક ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા જાહેર કરાયેલા ‘કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ આદેશ, 2026’ મુજબ, જે વિસ્તારોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના ગ્રાહકોએ ફરજિયાતપણે PNG કનેક્શન લેવું પડશે. જો ગ્રાહકો આ આદેશનું પાલન નહીં કરે, તો આગામી ત્રણ મહિનામાં તેમનો LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) પુરવઠો કાપી નાખવામાં આવશે.
હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોને કારણે ભારત સતત LPG ની અછતનો સામનો કરી રહ્યું છે. ભારત પોતાની LPG જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. આ નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી ગેસના નેટવર્કને મજબૂત બનાવવા માટે સરકાર PNG ને પ્રોત્સાહન આપી રહી છે. PNG સીધું પાઇપલાઇન દ્વારા રસોડા સુધી પહોંચે છે, જેનાથી ગ્રાહકોને વારંવાર સિલિન્ડર બુકિંગ કરવાની કે તેના ડિલિવરીની રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

ફરજિયાત સ્વિચિંગ: જો તમારા વિસ્તારમાં PNG પાઇપલાઇન નાખવામાં આવી હોય અને ટેકનિકલી તમારા ઘર સુધી કનેક્શન પહોંચાડવું શક્ય હોય, તો તમારે PNG અપનાવવું જ પડશે.ત્રણ મહિનાની સમયમર્યાદા: PNG નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં જો ગ્રાહક કનેક્શન લેવાનો ઇનકાર કરશે, તો મંત્રાલય 90 દિવસ પછી તેમનું LPG કનેક્શન રદ કરી દેશે.
ટેકનિકલ અપવાદ (NOC): જે ઘરોમાં ભૌગોલિક કે ટેકનિકલ કારણોસર PNG કનેક્શન આપવું શક્ય નથી, તેમને સરકાર ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) આપશે. આવા કિસ્સાઓમાં જ ગ્રાહક પોતાનું LPG કનેક્શન ચાલુ રાખી શકશે.


