PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉજવણીમાં હાજરી આપી અને તેને પોતાના માટે સૌભાગ્યની વાત ગણાવી. આ અવસર પર તેમણે પોંગલને તમિલ સંસ્કૃતિની સમૃદ્ધિ અને ખેડૂતોની મહેનતનું પ્રતીક ગણાવ્યું.
PM નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત લોકોને શુભેચ્છાઓ પાઠવી અને ગાયની સેવા પણ કરી. PM મોદીએ કહ્યું કે આવા તહેવારો સામાન્ય લોકોને, પરંપરાઓને અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને વધુ મજબૂત બનાવે છે.આ અગાઉ પણ PMએ મકરસંક્રાંતિ, ભોગાલી બિહુ અને પોંગલ જેવા પાકના તહેવારો નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોંગલને તમિલ પરંપરા અને સંસ્કૃતિની સમૃદ્ધિનું તેજસ્વી પ્રતીક ગણાવ્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “આ તહેવારો તમારા બધા સાથે ઉજવવાનો મને લહાવો મળ્યો છે, જે મારા માટે ગૌરવની વાત છે.”
PM મોદીએ જણાવ્યું કે પોંગલ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન જાળવવાનો સંદેશ આપે છે. હાલ દેશના વિવિધ ભાગોમાં લોહરી, મકરસંક્રાંતિ, ભોગાલી બિહુ અને અન્ય તહેવારોની ઉજવણી થઈ રહી છે, જે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને દર્શાવે છે. તેમણે ભારત અને વિશ્વભરમાં વસતા તમામ તમિલ ભાઈઓ અને બહેનોને પોંગલની શુભેચ્છા પાઠવી.

PMએ કહ્યું કે આજે પોંગલ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. વિશ્વના અનેક દેશોમાં વસતા તમિલ સમુદાય અને તમિલ સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પોંગલ ખેડૂતો, ધરતી અને સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે, કારણ કે તેમની મહેનતથી આપણને અન્ન મળે છે. દેશવાસીઓને લખેલા સંદેશમાં PM મોદીએ જણાવ્યું કે પાકના તહેવારો આશા, સકારાત્મકતા અને આભારની ભાવનાનું પ્રતીક છે. મકરસંક્રાંતિ ભલે દેશના અલગ અલગ ભાગોમાં અલગ નામ અને પરંપરાઓ સાથે ઉજવાય, પરંતુ તેની ભાવના એક જ રહે છે.
ખેડૂતોના યોગદાનને સલામ આપતા PM મોદીએ કહ્યું કે આ તહેવારો ખાસ કરીને ખેડૂતો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે, કારણ કે તેઓ પોતાની મહેનતથી સમગ્ર દેશનું પોષણ કરે છે. તેમણે તમામ નાગરિકોને શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સફળતાની શુભેચ્છા પાઠવી. ભોગાલી બિહુ અંગે PM મોદીએ જણાવ્યું કે તે આસામી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને લણણીની મોસમ પૂર્ણ થવાની ખુશીની ઉજવણી છે. તે આનંદ, હૂંફ અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે.
પોંગલના અવસર પર PM મોદીએ “વનક્કમ” કહીને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે પોંગલ માનવ શ્રમ અને પ્રકૃતિ વચ્ચેના ઊંડા સંબંધને દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારતને વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક, તમિલ ભાષાની ધરતી હોવાનો ગર્વ છે.


