એવું કહેવાય છે કે પ્રેમ મેળવવા માટે લોકો બધી હદો પાર કરી દે છે પરંતુ પ્રેમ મેળવવા માટે પોતાના પતિની હત્યા કરવી કેટલી હદ સુધી વ્યાજબી છે? તાજેતરમાં ઇન્દોરના રાજા રઘુવંશીને તેની પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ગાઢ ઉતારી દીધો હતો હજુ આ ઘટના તાજી છે તેવામાં યુપીના સિદ્ધાર્થનગર જિલ્લામાંથી ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડ જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અહીં એક મહિલાએ 18 વર્ષના લગ્નજીવન પછી તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી દીધી. એટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા માટે તેણે તેના પતિનો મૃતદેહ બલરામપુર જિલ્લામાં રાપ્તી નદીમાં ફેંકી દીધો અને પછી તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પત્નીને કોઈ સાથે અફેર હતું. આ માહિતી પર, જ્યારે સંગીતાની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે બલરામપુરના સેમરાહના ગામ પાસે, તેણે તેના પતિને ઝેરી પદાર્થ આપીને પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. 10 જૂને, તેના પતિનું હાડપિંજર તેના દ્વારા જણાવેલ જગ્યાએથી મળી આવ્યું હતું. પરિવારના સભ્યોએ તેની ઓળખ કરી લીધી છે. બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.