સરકાર આ બિલને આગામી વર્ષની 1 એપ્રિલ (2026)થી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલશે .
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રવિવાર 21 ડિસેમ્બરે વિકાસ ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી બિલ, 2025 (VB-G રામ જી)ને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની સંમતિ સાથે આ બિલ હવે કાયદો બની ગયું છે. અગાઉ, તે સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. નવો કાયદો હવે ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષમાં 125 દિવસના વૈધાનિક વેતન રોજગારની ગેરંટી આપશે, જે અગાઉના 100 દિવસથી વધુ છે.
સરકાર આ બિલને આગામી વર્ષની 1 એપ્રિલ (2026)થી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલશે . આ બિલ હેઠળ રોજગારની વૈધાનિક ગેરંટી હવે 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બિલ મનરેગાનું સ્થાન લેશે અને તે 2047ના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં આવક સુરક્ષાને મજબૂત બનાવવા અને સમાવિષ્ટ અને સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ટકાઉ અને ઉત્પાદક સંપત્તિઓનું નિર્માણ કરવાનો છે.

કાયદાની જોગવાઈઓ હેઠળ સરકારની કાનૂની જવાબદારી છે કે તેઓ ઈચ્છુક ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા 125 દિવસની રોજગારી પૂરી પાડે. વેતનની ચુકવણી સાપ્તાહિક ધોરણે અથવા વધુમાં વધુ 15 દિવસની અંદર ફરજિયાત છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી ન કરવામાં આવે તો વેતનની ચુકવણીમાં વિલંબ માટે વળતરની પણ જોગવાઈ છે. ગયા ગુરુવારે, વિપક્ષના વિરોધ વચ્ચે સંસદમાં રામજી બિલ પસાર થયું હતું. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે કોંગ્રેસે મહાત્મા ગાંધીના આદર્શોની હત્યા કરી છે, જ્યારે મોદી સરકારે તેમને જીવંત રાખ્યા છે. મનરેગા યોજનાને બદલવા માટે નવું બિલ લાવવા અને તેમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાના વિપક્ષના આરોપોને મંત્રીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.
જી રામ જી કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત 2047” ના વિઝન સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આજીવિકા અને કૃષિ ઉત્પાદકતાને મજબૂત બનાવવાનો છે. આ બિલ ગ્રામીણ પરિવારો માટે વાર્ષિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરે છે. તે સ્થાનિક આયોજન, શ્રમ સુરક્ષા અને યોજનાઓના એકીકરણ પર પણ ભાર મૂકે છે. આ કાયદાનો હેતુ ગ્રામીણ આવક સુરક્ષાને મજબૂત બનાવવા, ફ્રન્ટલાઈન યોજનાઓને એકીકૃત કરવા અને કૃષિ-રોજગાર સંતુલન પ્રાપ્ત કરવાનો છે.


