બાલેન્દ્ર શાહે GenZ આંદોલન અને કે.પી. શર્મા ઓલીની સરકાર ઉથલાવ્યા બાદ નેપાળના નવા પીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથવિધિ દરમિયાન ધાર્મિક વિધિઓ થઇ હતી. જેમાં સાત બ્રાહ્મણો દ્વારા શંખ વગાડવામાં આવ્યા હતા. 108 યુવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું, અને 107 લામાઓ દ્વારા ‘મંગલ વચન’ અને બૌદ્ધ ગ્રંથોનું પઠન કરવામાં આવ્યું હતું.
નેપાળમાં હવે એક નવી ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી છે. બાલેન્દ્ર શાહ ‘બાલેન’ શુક્રવારે નેપાળના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બાલેન્દ્ર શાહ ‘બાલેન’ હિમાલયના દેશમાં ટોચના કાર્યકારી પદ સંભાળનારા સૌથી યુવા ચૂંટાયેલા નેતા બન્યા છે. પીએમ મોદીએ શાહને અભિનંદન આપ્યા અને નેપાળ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. બાલેન સંભવતઃ એક નાનું મંત્રીમંડળ બનાવશે. જેમાં 15 થી 18 મંત્રીઓની સંભવિત સંખ્યા હશે.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક સૂચના અનુસાર, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ 76(1) હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી સંસદીય પક્ષના નેતા બાલેન શાહને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. 35 વર્ષીય રેપરથી રાજકારણી બનેલા બાલેન શાહ મધેસી પ્રદેશમાંથી વડા પ્રધાન બનનારા દેશના પ્રથમ નેતા બન્યા છે. રાષ્ટ્રપતિના પ્રેસ સલાહકાર કિરણ પોખરેલે અગાઉ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પૌડેલ નવનિયુક્ત વડા પ્રધાનને બપોરે 12:34 વાગ્યે રાષ્ટ્રપતિ કાર્યાલય, શિતલ નિવાસ ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.
રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી, જેણે બાલેનને તેના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા, તેમણે પ્રતિનિધિ ગૃહમાં 275 બેઠકોમાંથી 182 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો. આનાથી પક્ષ બંધારણના અનુચ્છેદ 76 (1) હેઠળ બહુમતી સરકાર બનાવવા માટે લાયક બને છે. પ્રતિનિધિ ગૃહના 275 સભ્યોમાંથી, 165 સીધા મતદાન દ્વારા અને 110 પ્રમાણસર મતદાન દ્વારા ચૂંટાય છે. સંસદના તમામ નવા ચૂંટાયેલા સભ્યોએ ગઈકાલે, ગુરુવારે શપથ લીધા.


