Bollywood : પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં કૂલ 9 ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદી ઠેકાણા, લશ્કર-એ-તૈયબાના ત્રણ અને હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઓપરેશનને ભારતીય વાયુસેના, ભારતીય સેના અને ભારતીય નૌકાદળ દ્વારા સંયુક્ત રીતે અંજામ આપવામાં આવ્યો છે.
‘Operation Sindoor’ પર બોલિવૂડ સેલેબ્સનું રિએક્શન
‘Operation Sindoor’ને દેશવાસીઓએ સપોર્ટ કરતા ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી છે. બીજી તરફ બોલિવૂડ સેલિબ્રિટીએ પણ સેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના સફળ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તમામે જય હિન્દના નારા લગાવતા ભારતીય સૈન્યની બહાદુરીના વખાણ કર્યા છે. તો ચાલો જાણો સેલિબ્રિટિએ શું કહ્યું………
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે X પર પોસ્ટ કરીને લખ્યું- ‘જય હિન્દ કી સેના….ભારત માતા કી જય.’
ફિલ્મમેકર મધુર ભંડારકરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે લખ્યું- ‘અમારી પ્રાર્થનાઓ સેના સાથે છે. એક રાષ્ટ્ર, આપણે સાથે ઉભા છીએ. જય હિન્દ, વંદે માતરમ.’
અભિનેત્રી નિમરત કૌરે ઈન્સ્ટા પર ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી અને લખ્યું- અમે અમારી સેના સાથે છીએ. આપણો દેશ, એક મિશન, જય હિન્દ. પરેશ રાવલ, અનુપમ ખેર, વિનીત કુમાર સિંહ અને રાહુલ વૈદ્યની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતે પહલગામ હુમલાનો બદલો લીધો
તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 26 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આ હુમલાથી આખો દેશ આક્રોશમાં હતો. હવે પહલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.