પાટણમાં ફાર્મ હાઉસ પર 20 લોકોનો હિંસક હુમલો કર્યો હતો. લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે એક ફાર્મ હાઉસ પર 20 થી વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.
મળતી માહિતી મુજબ, પાટણના એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે 20 થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું. આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું. ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી, ત્યારે અસામાજિક તત્વો ડરવાને બદલે પોલીસ સામે જ થઈ ગયા હતા.

અસામાજિક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને એવો પ્રતિકાર કર્યો કે પોલીસ જવાનોને પોતાની સુરક્ષા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. લુખ્ખાઓના મનમાં કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ તેઓએ ખુલ્લેઆમ પોલીસને પડકારી હતી. પોલીસને ભગાડવાની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું?આ ઘટનાને પગલે પાટણ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


