રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો હવે ખેર નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી લેબ કાર્યરત થવાથી અત્યાર સુધી વડોદરા પર રહેલી નિર્ભરતા ઘટશે અને ખાદ્ય પદાર્થોના નમૂનાનો રિપોર્ટ ખૂબ જ ઝડપથી મળી શકશે.
અત્યાર સુધી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓને ટેસ્ટિંગ માટે વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવા પડતા હતા. વડોદરા લેબ પર સમગ્ર રાજ્યનું ભારણ હોવાને કારણે રિપોર્ટ આવવામાં ઘણો લાંબો સમય જતો હતો. જેને પગલે ભેળસેળિયા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં વિલંબ થતો હતો. હવે રાજકોટમાં પોતાની લેબ હોવાથી નમૂનાઓનું પરીક્ષણ સ્થાનિક સ્તરે જ થશે.

રાજકોટના કાલાવડ રોડ પર આ નવી ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. વિશેષ વાત એ છે કે, આ જ બિલ્ડિંગમાં ફૂડ ટેસ્ટિંગ લેબની સાથે મેલેરિયા સેન્ટર પણ બનાવવામાં આવશે. આ સુવિધાથી માત્ર રાજકોટ શહેર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અન્ય નાના-મોટા શહેરોના ખાદ્ય નમૂનાઓનું ટેસ્ટિંગ પણ અહીં સરળતાથી થઈ શકશે.
રિપોર્ટ વહેલો આવવાને કારણે આરોગ્ય વિભાગ ત્વરિત એક્શન લઈ શકશે. તહેવારો દરમિયાન જે મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની આશંકા હોય છે, તેનું રિઝલ્ટ હવે વહેલું મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાશે. સૌરાષ્ટ્રના વેપારીઓ અને ગ્રાહકો બંને માટે આ એક આશીર્વાદરૂપ પ્રોજેક્ટ સાબિત થશે.


