HomeGujaratRajkot : વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ

Rajkot : વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ

વિરપુરમાં જુદી-જુદી સ્કીમો બહાર પાડી રોકાણકારોનાં રૂા.૭ લાખ ચાઉં કરી જનાર ટોળકી સામે ગઇકાલે વિરપુર પોલીસે ગુનો નોંધી કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વિરપુરનાં વિપુલ ગોવિંદભાઇ મેવાડા, કરણ વિનોદભાઇ મેવાડા, જીવણ ઉર્ફે લાલો બટુકભાઇ મેવાડા, ભુપત જાગાભાઇ બાંભવા, જલેવ ઉર્ફે જલો ભગાભાઇ ગમારા અને રાજકોટનાં અનિલ રામજીભાઇ માટીયાનો સમાવેશ થાય છે.

વિરપુરમાં રહેતા અને છુટક મજૂરી કરતાં અમિતભાઇ ગાજીપરા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસી, ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ અને જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપીઓએ ૨૦૨૦ની સાલમાં દર મહિને રૂા.૧ હજાર એમ ચાલીસ માસ સુધી રૂા.૪૦ હજાર ભરવાની જય જલારામ માર્કેટીંગના નામે સ્કીમ બહાર પાડી હતી. પાકતી મુદ્દતે રૂા.૫૦ હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી.

૨૦૨૨માં શ્રી જલારામ બચત સહકારી મંડળીનાં નામે દૈનિક બચત યોજના બહાર પાડી હતી. જે મુજબ રોજના રૂા.૧૦૦થી લઇ રૂા.૫૦૦ ભરવાના હતા. જેના બદલામાં ૬ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી.

૨૦૧૪ની સાલમાં જેકે એમએમ ઓટોના નામે ત્રીજી સ્કીમ બહાર પાડી હતી. જેમાં ૪૦ મહિના સુધી રૂા.૪૦ હજાર ભરવાના હતા. પાકતી મુદ્દતે રૂા.૫૦ હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી. આ તમામ સ્કીમોમાં આસપાસનાં ગામના ઘણાં લોકોએ રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ લોકોને સ્કીમ મુજબ પૈસા આપ્યા ન હતા.

એટલું જ નહીં આરોપી અનિલ માટીયાએ પૈસા ન દેવાના બહાના કાઢી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેને કારણે ડરી જતાં આજ સુધી પૈસા માગ્યા ન હતા. આ સ્કીમોમાં તેના રૂા.૩૮ હજાર, રસિકભાઇ ગોહેલનાં રૂા.૬૧ હજાર, ક્રિષ્ના વઘાસીયાનાં રૂા.૫૦ હજાર, જગદીશ સરવૈયાના રૂા.૩૮ હજાર, ભાવનાબેન સરવૈયાનાં પણ રૂા.૩૮ હજાર, કિશોરભાઇ ત્રાડાનાં રૂા.૬૧ હજાર, કિશનભાઇ મનસુખભાઇનાં રૂા.૬૧ હજાર, જયદીપ ગોસાઇનાં પણ રૂા.૬૧ હજાર, બાબુભાઇ ચાવડાનાં રૂા.૫૦ હજાર અને ભાવેશગીરી ગોસાઇનાં રૂા.૩૮ હજાર ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments