રંગભરી એકાદશી અથવા આમળકી એકાદશીનું વ્રત 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ મનાવવામાં આવશે. ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ હોળી પહેલા આવે છે, તેથી તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ભક્તો આ દિવસે ઉપવાસ પણ કરે છે. રંગભરી એકાદશી પર તુલસીની કેટલીક વિધિઓ કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી, આજે અમે તમને એકાદશી પર કરવામાં આવતી કેટલીક ખાસ તુલસીની વિધિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ક્યારે છે રંગભરી અગિયારસ?
વૈદિક પંચાગ પ્રમાણે રંગભરી અગિયારસ તિથિ શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026ના રોજ પડી રહી છે. આ તિથિની શરૂઆત 26 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે (એટલે કે, 27 ફેબ્રુઆરીના રોજ 12:33 AM) થશે અને 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10:32 (PM) વાગ્યે સમાપ્ત થશે. શુક્રવારનો દિવસ હોવાના કારણે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ એક ઉત્તમ અવસર છે.
- કંગાળી દૂર કરવાનો દૂધ-તુલસી ઉપાય
જો મહેનત કરવા છતાં તમારા ખિસ્સા ખાલી રહે છે અથવા પૈસા પાણીની જેમ વહી જાય છે, તો આ દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. ગાયના કાચા દૂધમાં તુલસીના પાન નાખીને તેનાથી દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ઉપાય ગરીબીને મૂળમાંથી ખતમ કરી દે છે.

- કરિયરમાં ગ્રોથ માટે
શું નોકરીમાં પ્રમોશન અટકી રહ્યું છે અથવા વારંવાર ઈન્ટરવ્યુમાં નિષ્ફળ જઈ રહ્યા છો? તો આ અગિયારસની સાંજે તુલસીના છોડ પાસે 11, 21 કે 51 ઘીના દીવા પ્રગટાવો. ત્યારબાદ ત્યાં બેસીને શ્રદ્ધાથી તુલસી ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા કરિયરની રાહમાં આવતા દરેક અવરોધો દૂર થઈ જાય છે.
- માતા લક્ષ્મીનો ‘શણગાર’ અને અખંડ સૌભાગ્ય
સુખ-સમૃદ્ધિ અને ઘરમાં બરકત માટે અગિયારસ પર તુલસી માતાને સુહાગની સામગ્રી જેમ કે, લાલ ચૂંદડી, બંગડીઓ અને સિંદૂર અર્પણ કરો. આ ઉપાયથી આર્થિક સ્થિતિ તો સુધરે જ છે પરંતુ આ સાથે-સાથે તમારા વૈવાહિક જીવનમાં રહેલી ખટાશ પણ દૂર થાય છે.
- બિઝનેસ ઠપ્પ થઈ ગયો હોય તો આ ઉપાય કરો
જો તમારો બિઝનેસ ઠપ્પ થઈ ગયો હોય, તો અગિયારસના દિવસે તુલસીના કૂંડાની થોડી માટી લો અને તેને પીળા કપડામાં બાંધી લો. તેને તમારી ઓફિસ કે દુકાનના મુખ્ય મુખ્ય દ્વાર પર લટકાવી દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ગ્રાહકોનો પ્રવાહ વધશે.
- માનસિક શાંતિ માટે પરિક્રમા
તુલસીના છોડની 11 કે 21 વાર પરિક્રમા કરતા “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરો. આનાથી માનસિક તણાવ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
એ બાબતનું ધ્યાન રાખો કે, અગિયારસના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને તુલસીના છોડને જળ પણ ન દેવું જોઈએ (કારણ કે એવું માનવામાં આવે છે કે, એ દિવસે માતા તુલસી પણ વ્રત રાખે છે).


