IPL 2025 ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 42 રનથી પરાજય થયો હતો. RCB એ મેચ હારી ગઈ જ્યારે 232 રનના ટાર્ગેટ સુધી પહોંચતી વખતે તેનો સ્કોર 15.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને 173 રન હતો. બેંગલુરુને અહીંથી જીતવા માટે 27 બોલમાં 59 રનની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત બાકીના 16 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
RCBની આવી હાર જોઇને ટીમનો નવો કેપ્ટન જીતેશ શર્મા પણ સ્તબ્ધ થઈ ગયો. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘મારી પાસે આનો કોઈ જવાબ નથી.’ જોકે, તેણે હૈદરાબાદ સામેની હારને સારી ગણાવતા પોતાની ટીમ માટે આ વેકઅપ કોલ ગણાવ્યો.
નવો કેપ્ટન જીતેશ શર્મા પણ સ્તબ્ધ
જીતેશ શર્માએ મેચ પછી કહ્યું, ‘મને લાગે છે કે 20-30 રન વધુ હતા, મારી પાસે જવાબ નથી. RCB આ પરિસ્થિતિમાં કેવી રીતે હારી ગયું. મને લાગે છે કે ઈન્ટેન્સિટીનો અભાવ હતો, પરંતુ આ મેચ હારવી સારી વાત છે.’તેણે આગળ કહ્યું, ‘હું આઉટ થઈ ગયો હોવાથી હું નારાજ હતો, હું એ ઝોનમાં ન હતો કે ડેવિડને મળી શકું. મને લાગે છે કે આ મેચ હારવી સારી રહી, સકારાત્મક બાબતો એ છે કે અમે સારી બેટિંગ કરી રહ્યા છીએ. આ હાર પછી મને લાગે છે કે આ આંચકો સારો છે, અમે આગામી મેચમાં સારી રીતે કમબેક કરીશું.’
RCB ટોપ-2 માંથી બહાર
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ હાર બાદ, RCBને એક મોટો ઝટકો એ લાગ્યો છે કે તેણે IPL 2025 પોઈન્ટ ટેબલના ટોપ-2 માંનું સ્થાન ગુમાવી દીધું છે. હવે તેનો છેલ્લી લીગ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે છે. જો RCB ટોપ-2 માં પોતાનું સ્થાન પાછું મેળવવા માંગતુ હોય તો તેણે LSG ને હરાવવું પડશે, આ સાથે તેણે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની મેચ પર પણ આધાર રાખવો પડશે.