T20 World Cup 2026-analysis : ભારતીય ક્રિકેટ ટીમનો હવે પછીનો મુકાબલો ટી20 વર્લ્ડ કપના સુપર-6 માં ઝિમ્બાબ્વે સામે ગુરુવારે (26 ફેબ્રુઆરી) છે. આ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં ભારતીય ટીમની પ્લેઈંગ 11માં કેટલાક મોટા ફેરફારો થવા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.
હાલમાં દેશભરના ક્રિકેટ ચાહકોમાં સૌથી વધુ ટીકા અભિષેક શર્માની થઈ રહી છે. તેણે ટી20 વર્લ્ડ કપ 2026ની 4 મેચોમાં માત્ર 15 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ 15 રન તો તેની દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં આવ્યા હતા, જ્યારે શરૂઆતની ત્રણ મેચોમાં તે શૂન્ય (ડક) પર આઉટ થયો હતો.
બીજા નંબરે જે ખેલાડી ભારતીય ટીમ માટે નબળી કડી સાબિત થઈ રહ્યા છે, તે છે તિલક વર્મા. તે અત્યાર સુધી અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. તેણે 5 ઇનિંગ્સમાં 21.40ની એવરેજ અને 118.88ના સ્ટ્રાઈક રેટથી માત્ર 107 રન બનાવ્યા છે. નંબર 3 ના બેટ્સમેન માટે આ પ્રદર્શન યોગ્ય નથી.

દક્ષિણ આફ્રિકા સામે જે રીતે તે આગળ વધીને શોટ મારવાના ચક્કરમાં આઉટ થયો, ત્યારબાદ સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજોએ પણ તેની આકરી ઝાટકણી કાઢી છે. બીજી તરફ, અભિષેક શર્મા પણ આ વર્લ્ડ કપમાં ઘણી વખત બેદરકારીભર્યા શોટ રમીને આઉટ થયો છે.
ટી20 વર્લ્ડ કપ 2026માં ફિનિશર તરીકે જાણીતો રિંકુ સિંહે અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં માત્ર 29 બોલ રમ્યો છે અને માત્ર 24 રન બનાવ્યા છે. આ આંકડા તેની ફિનિશર તરીકેની ભૂમિકા સાથે મેળ ખાતા નથી.
રિંકુનું અત્યાર સુધીનું પ્રદર્શન:
અમેરિકા સામે: 14 બોલમાં 6 રન
નામીબિયા સામે: 6 બોલમાં 1 રન
પાકિસ્તાન સામે: 4 બોલમાં 11 રન (અણનમ)
નેધરલેન્ડ સામે: 3 બોલમાં 6 રન (અણનમ)
દક્ષિણ આફ્રિકા સામે: 2 બોલમાં 0 રન (આઉટ)
જોકે, ઝિમ્બાબ્વે સામેની મેચમાં રિંકુ સિંહના રમવા પર શંકા છે, કારણ કે તેના પરિવારમાં મેડિકલ ઇમરજન્સી આવી છે.


