ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ રવિવારે, 1 માર્ચના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાનારો આ મુકાબલો બંને ટીમ માટે નિર્ણાયક છે, કારણ કે આ મેચ જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
સુપર-8માં સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ભારત હવે ઝિમ્બાબ્વે સામેની જીત સાથે ફરી લયમાં છે. જો ભારત વેસ્ટ ઇન્ડિઝને હરાવે છે, તો 4 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં તેનો મુકાબલો ગ્રૂપ-2ની ટોપર ટીમ ઇંગ્લૅન્ડ સામે થઈ શકે છે. બીજી તરફ, સાઉથ આફ્રિકા સારા નેટ રન રેટ અને 4 પોઇન્ટ સાથે ગ્રૂપ-1માં ટોચ પર રહે તેવી પૂરી શક્યતા છે. આ સ્થિતિમાં, જો ભારત બીજા ક્રમે રહેશે તો 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારા બીજા સેમિ ફાઇનલમાં તેનો સામનો ઇંગ્લૅન્ડ સામે થશે.

છેલ્લા વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લૅન્ડને સેમિ ફાઇનલમાં 68 રને હરાવ્યું હતું, પરંતુ આ વખતે લડત વધુ કઠિન બની શકે છે. ઇંગ્લૅન્ડે સુપર-8માં પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ જેવી મજબૂત ટીમોને હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હેરી બ્રુકની સદી અને જોસ બટલર, ફિલ સોલ્ટ જેવા ખેલાડીઓ ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે, ભારતનું બોલિંગ આક્રમણ ઇંગ્લૅન્ડ કરતા વધુ મજબૂત દેખાઈ રહ્યું છે અને અગાઉ અભિષેક શર્માએ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ માત્ર 54 બોલમાં 135 રન ફટકારીને પાયમાલી સર્જી હતી, જે આત્મવિશ્વાસ વધારનારી બાબત છે.


