શું ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે બધું બરાબર નથી? શું બંને એકબીજા સાથે વાત પણ નથી કરતા? સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળો પર હવે પૂર્ણવિરામ લાગી શકે છે. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ડ્રેસિંગ રૂમની અંદરની હકીકત જણાવીને કોહલી અને ગંભીરના સંબંધો પર મોટો ખુલાસો કર્યો છે.
ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે તે તમામ અફવાઓને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે તિરાડ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બંને અનુભવી ખેલાડીઓ ટીમના ભવિષ્યની યોજનાઓમાં સંપૂર્ણ રીતે સામેલ છે અને તેમની વચ્ચે કોઈ મતભેદ નથી.
ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે પહેલા પત્રકારો સાથે વાત કરતા સિતાંશુ કોટકે કહ્યું, “વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપની તૈયારી અને ભારતની વનડે રણનીતિ બનાવવામાં સંપૂર્ણ રીતે સામેલ છે. તેઓ સાથે મળીને રણનીતિ બનાવે છે. બંને પાસે એટલો અનુભવ છે કે તેઓ બાકીના ખેલાડીઓ સાથે પોતાના વિચારો શેર કરે છે અને ચર્ચા કરે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું, “તેઓ (વિરાટ અને રોહિત) ગૌતમ ગંભીર સાથે વનડે ફોર્મેટ અને દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપ માટેની અમારી રણનીતિ પર સતત ચર્ચા કરે છે. હું ઘણીવાર ત્યાં હાજર હોઉં છું અને મેં તેમને હંમેશા વાત કરતા જોયા છે. સોશિયલ મીડિયા પર તમે ઘણી બધી વાતો જોતા હશો, પરંતુ હું તે જોવાનું ટાળું છું. હું જે રીતે જોઉં છું, ટીમમાં ખૂબ જ સકારાત્મક માહોલ છે.”
છેલ્લા કેટલાક મહિનાઓથી કોહલી, રોહિત અને નવા કોચિંગ સ્ટાફ વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ કોટકના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમનું સંપૂર્ણ ધ્યાન આગામી મેચો અને ટૂર્નામેન્ટ પર છે.
કોટકે એમ પણ જણાવ્યું કે માર્ચમાં T20 વર્લ્ડ કપ પૂરો થયા પછી, ટીમે વનડેમાં 34 ઓવર પછી નવા બોલના નિયમને ધ્યાનમાં રાખીને પોતાની બેટિંગ શૈલી પર ફરીથી કામ કરવું પડશે. નવા નિયમ મુજબ, હવે બોલિંગ કરનાર ટીમને 35 થી 50 ઓવરની વચ્ચે બેમાંથી એક બોલ પસંદ કરવાનો વિકલ્પ મળશે, જે રમત પર મોટી અસર કરી શકે છે.


