સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શંકાના શિકાર પતિએ પોતાની પત્નીના પરિચિત યુવકની પોતાના જ ઘરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મધરાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પતિની ધરપકડ કરી હતી.
હત્યાની આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પુનિત નગર વિસ્તારમાં બની હતી. જ્યાં નરેન્દ્ર નામના એક છૂટક મજૂરી કરનારાએ મહારાષ્ટ્રના ધુલિયાથી ત્રણ દિવસ પહેલા જ આવેલા સાગર સીલકે નામના યુવકની ચપ્પુ વડે હત્યા કરી નાખી હતી. સાગર છેલ્લા 3 દિવસથી નરેન્દ્રના ઘરે રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નરેન્દ્રને પત્ની વંદના અને સાગર વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો વહેમ હતો. તેને લાગ્યું કે પત્ની સાથે સાગરના અનૈતિક સંબંધ છે. એ શંકાએ જ નરેન્દ્રને ઉશ્કેર્યો અને રાત્રે એક વાગ્યે એક નિર્દોષ યુવકના જીવનો અંત લાવી દીધો હતો. હત્યાના સમયે ઘરમાં નરેન્દ્રની પત્ની અને બાળક પણ હાજર હતા પરંતુ તે લોકો ઊંઘી રહ્યા હતા. સાગરની ચીસો સાંભળી પત્ની અને બાળક જાગી ગયા અને જોયું કે સાગર લોહીથી લથબથ હાલતમાં પડી રહ્યો હતો. પત્ની વંદનાના જણાવ્યા અનુસાર, ‘અમે બધા સૂઈ ગયા હતા. સાગરની ચીસો સાંભળી જાગ્યા તો જોયું કે આખું ઘર લોહીથી ભરાઈ ગયું હતું.’
સાગર તેનો પરિવારિક ઓળખાણનો હતો અને ધુલિયામાં લેબમાં નોકરી કરતો હતો. તેની સાથે તેના ઘરમાં ઝઘડો થતા તે થોડા દિવસ રહેવા માટે મારી પાસે આવ્યો હતો. મેં પતિની મંજૂરી લઈ સાગરને ઘરે બોલાવ્યો હતો. જો મને ખબર હોત કે આવી ઘટના બનશે તો હું ક્યારેય તેને ઘેર રોકત નહીં, ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. હત્યારાને સ્થળ પરથી જ ઝડપી લેવાયો હતો. ડીસીપી વિજયસિંહ ગુર્જરે માહિતી આપતાં જણાવ્યું કે, આરોપી નરેન્દ્રની અટકાયત કરવામાં આવી છે. તે માનસિક રોગ માટે દવાઓ લેતો હોવાનું સામે આવ્યું છે. હવે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે.
વાતમાં કેટલી વાસ્તવિકતા છે તેની તપાસ કરવામાં આવશે. મૃતક સાગર સીલકે ધુલિયાનો વતની હતો અને ત્યાં લેબમાં નોકરી કરતો હતો. હાલ તે સુરતમાં સેન્ટીંગના કામ માટે આવ્યો હતો અને નરેન્દ્રના ઘરમાં રહેતો હતો. દિવસ દરમિયાન કામ પર જતો અને રાત્રે ઊંઘવા માટે ઘરે આવતો હતો. માત્ર ત્રણ દિવસ પહેલા જ તે સુરત આવ્યો હતો. પાંડેસરા પોલીસે BNSની કલમો હેઠળ ગુનો નોંધી અને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. નરેન્દ્ર પાસેથી હત્યાના ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ કબ્જે લેવાયું છે. વંદના તથા અન્ય પરિવારજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. નરેન્દ્રના માનસિક તબિયત અંગે પણ તપાસ ચાલુ છે.